અજીત વાડેકરની કેપ્ટનશિપમાં ભારત જીત્યું હતું સતત 3 ટેસ્ટ સીરિઝ, ઈંગ્લેન્ડમાં કર્યું હતું સૌથી મોટું કારનામું, જાણો વિગત
વાડેકરની કેપ્ટનશિપમાં ભારતે ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ અને પ્રથમવાર ટેસ્ટ શ્રેણી જીતી હતી. વાડેકર મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશિપ દરમિયાન ભારતીય ટીમના મેનેજર રહી ચુક્યા હતા. બાદમાં તેઓ ચીફ સિલેક્ટર પણ બન્યા હતા.
વાડેકર એન્જિનયર બનવા માંગતા હતા. એક વખતે તેઓ તેમના સીનિયર અને પડોશી બાલૂ ગુપ્તે સાથે બસથી કોલેજ જતાં હતા. બાલૂ કોલેજની ક્રિકેટ ટીમમાં હતા. તેમણે અજીતને પૂછ્યું કે શું કોલેજની ટીમમાં 12મો ખેલાડી બનીશ ? આ માટે તને 3 રૂપિયા મેચ ફી મળશે. તે સમયે 3 રૂપિયા મોટી રકમ હતી. ઓફરને તે ફગાવી ન શક્યા અને કોલેજની ક્રિકેટ ટીમમાં સામેલ થઈ ગયા. બાદમાં સુનીલ ગાવસ્કરના કાકા માધવ મંત્રીએ તેમની પ્રતિભા ઓળખી અને તેમના કહેવા પર જ ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર અજીત વાડેકરે બુધવારે રાત્રે મુંબઈની જસલોક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 77 વર્ષના હતા. વાડેકર છેલ્લાં ઘણાં સમયથી બીમાર ચાલી રહ્યા હતા. 1 એપ્રિલ 1941ના રોજ મુંબઈમાં જન્મેલા ડાબોડી બેટ્સમેન વાડેકરે ભારત માટે 37 ટેસ્ટ મેચ અને 2 વન-ડે રમી હતી. તેમના પરિવારમાં પત્ની રેખા ઉપરાંત બે પુત્રો અને એક પુત્રી છે. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ વાડેકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
સતત ત્રણ ટેસ્ટ સીરિઝ જીતનારા અજિત વાડેકર ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન હતા. તેમાંથી એક સીરિઝ વેસ્ટ ઈન્ડિઝમાં, એક ઈંગ્લેન્ડમાં અને ઈંગ્લેન્ડ સામે ભારતમાં રમાઈ હતી. વાડેકરની કેપ્ટનશિપમાં ભારતે વેસ્ટઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ જીત મેળવી હતી તે ટેસ્ટ જ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરની પદાર્પણ ટેસ્ટ હતી.
વાડેકરે તેમના આંતરરાષ્ટ્રીય કરિયરની એકમાત્ર સદી (143 રન) ન્યૂઝીલેન્ડ સામે 1968માં વેલિંગ્ટન ટેસ્ટમાં બનાવી હતી. આ ટેસ્ટમાં ભારતની જીત થઈ હતી. અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી ઉપરાંત બીસીસીઆઈ દ્વારા સીકે નાયડૂ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.