ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને પણ કોરોના વાયરસના કારણે જંગી નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ રદ્દ કરવી પડી હતી, જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગને પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવી છે. જોકે વર્તમાન સ્થિતિ જોતા ચાલુ વર્ષે આઈપીએલ રદ્દ કરવી પડી શકે છે.
મલ્હોત્રાએ કહ્યું કે, ખેલાડીએ સેલરીમાં ઘટાડા માટે તૈયાર રહેવું જોઈએ. કારણકે બીસીસીઆઈ હાલ ક્યાંયથી કોઈ કમાણી કરી રહ્યું નથી. આ રીતે ક્રિકેટરોની સેલરીમાં ઘટાડા દ્વારા બીસીસીઆઈને મદદ કરી શકાય તેમ છે.
તેમણે કહ્યું, બીસીસીઆઈ ક્રિકેટરોની પેરેન્ટ બોડી છે. આ એક કંપની છે, જો એક કંપનીને ખોટ જાય તો તેની અસર છેક નીચે સુધી જોવા મળે છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તેમણો કહ્યું, યૂરોપની વાત કરીએ તો લગભગ તમામ ફૂટબોલર્સની સેલરીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જેની જાહેરાત એસોસિએશને જ કરી છે.
અશોક મલ્હોત્રાએ એમ પણ જણાવ્યું, મને ખબર છે કે ક્રિકેટરોની સેલરીમાં ઘટાડો કરવો ઠીક નથી પરંતુ જો પેરેન્ટ બોડી પહેલા જેવી કમાણી નથી કરી રહી તો ક્રિકેટરોની સેલરીમાં ઘટાડો કરી શકાય છે.