નવી દિલ્હીઃ ભારત માટે 2011ના વર્લ્ડકપમાં રમનારા ફાસ્ટ બોલર એસ શ્રીસંતે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, મારી સાથે સેહવાગ, લક્ષ્મણ, સચિન, હરભજન સિવાય મોટાભાગના ખેલાડીએ વાતચીત કરવાનું બંધ કરી દીધું છે. આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં આરોપ લાગ્યા બાદ બીસીસીઆઈએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.


શ્રીસંતે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં જણાવ્યું, મોટાભાગના ખેલાડી મારી સાથે જાહેર સ્તળો પર વાતચીત કરવા નથી ઈચ્છતા, તેઓ મારાથી અંતર જાળવી રાખે છે. માત્ર સેહવાગ, લક્ષ્મણ અને એક બે ખેલાડીને બાદ કરીએ તો તમામ અન્ય ખેલાડી મારી સાથે વાત કરતાં ખચકાટ અનુભવે છે. હાલ મારી સામે કાનૂની પ્રકિયા ચાલી રહી હોવાથી હું પણ તેમની સાતે વાત કરવાનો પ્રયાસ નથી કરતો.

તેણે કહ્યું કે, નજીકના ભવિષ્યમાં ઘણી ચીજો સુધરી છે. અગાઉના મુકાબલાના સાથી ક્યાંક મળી જાય તો વાત કરી લઈએ છીએ. હરભજન સાથે એરપોર્ટ પર મુલાકાતનો ઉલ્લેખ કરી જણાવ્યું, મને ભજ્જી પા એરપોર્ટ પર મળ્યા હતા. જો હું ફરી ટીમ તરફથી રમીશ તો ભજ્જી સ્પોર્ટના બેટથી જ રમીશ. મારી ઈચ્છા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવાની છે.

શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ ચાલુ વર્ષે ખતમ થઈ જવા રહ્યો છે. મારું પ્રથમ લક્ષ્ય કેરળની ટીમમાં સ્થાન મેળવવાનું છે. હું ભારતીય ટીમમાં રમવા માટે દરેક ચીજમાંથી પસાર થવા તૈયાર છું. હું ઘરેલું ક્રિકેટમાં મારા પ્રદર્શનથી સૌને પ્રભાવિત કરીશ. મને આશા છે કે હું એક દિવસ ફરીથી ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહીશ.

શ્રીસંતે ભારત તરફથી 27 ટેસ્ટમાં 87 વિકેટ, 53 વન ડેમાં 75 વિકેટ અને 10 ટી20માં 7 વિકેટ ઝડપી છે.