Rahane Jaiswal Ban Incident: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને પોતાના શાંત સ્વભાવ માટે જાણીતા અજિંક્ય રહાણેએ એક જૂના વિવાદ પરથી પડદો ઉઠાવ્યો છે. વર્ષ 2022 માં રમાયેલી દુલીપ ટ્રોફીની ફાઇનલ મેચ દરમિયાન રહાણેએ પોતાની જ ટીમના યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને મેદાનની બહાર કાઢી મૂક્યો હતો, જેણે તે સમયે ભારે ચર્ચા જગાવી હતી. હવે, રહાણેએ આ ઘટના પાછળનું સાચું કારણ જણાવતા ખુલાસો કર્યો છે કે તેણે યશસ્વીને માત્ર પાઠ ભણાવવા માટે નહીં, પરંતુ તેની કારકિર્દી બચાવવા માટે મેદાનની બહાર મોકલ્યો હતો.
શું હતો સમગ્ર વિવાદ?
વાત 2022 ની દુલીપ ટ્રોફી ફાઇનલની છે, જે વેસ્ટ ઝોન (પશ્ચિમ ઝોન) અને સાઉથ ઝોન (દક્ષિણ ઝોન) વચ્ચે રમાઈ રહી હતી. તે સમયે અજિંક્ય રહાણે વેસ્ટ ઝોનનો કેપ્ટન હતો અને યશસ્વી જયસ્વાલ તેની ટીમનો હિસ્સો હતો. મેચ દરમિયાન યશસ્વી સાઉથ ઝોનના બેટ્સમેન રવિ તેજાને સતત સ્લેજિંગ (ખીજવતો) કરી રહ્યો હતો.
અમ્પાયર દ્વારા યશસ્વીને વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં તે રોકાયો નહીં. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે કેપ્ટન તરીકે રહાણેએ દરમિયાનગીરી કરવી પડી. આખરે કંટાળીને રહાણેએ પોતાના જ ખેલાડી યશસ્વીને મેદાનની બહાર જવા માટે કહી દીધું હતું.
"જો મેં તેને બહાર ન મોકલ્યો હોત, તો પ્રતિબંધ લાગી ગયો હોત"
તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વિવાદ વિશે ખુલીને વાત કરતા રહાણેએ કહ્યું, "મને ખબર છે કે યશસ્વીને તે સમયે મારું વર્તન ખરાબ લાગ્યું હશે. ક્રિકેટમાં થોડું સ્લેજિંગ થતું રહે છે, તે રમતની મજા છે અને હોવું પણ જોઈએ, પરંતુ તે દિવસે વાત હદ વટાવી રહી હતી. ભૂતકાળમાં મેં ઘણા ખેલાડીઓને આવી વર્તણૂક બદલ પ્રતિબંધિત થતા જોયા છે."
તેણે આગળ ઉમેર્યું, "મને લાગ્યું કે બંને ખેલાડીઓ પોતાનો ગુસ્સો ગુમાવી રહ્યા હતા અને પરિસ્થિતિ હાથમાંથી સરકી રહી હતી. એક કેપ્ટન તરીકે મારી જવાબદારી હતી કે હું મારા સાથી ખેલાડીનું અને તેની કારકિર્દીનું રક્ષણ કરું, એટલે જ મેં તેને મેદાનની બહાર મોકલી દીધો."
આ પણ વાંચોઃ હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
મેચ રેફરીએ ફાડી નાખ્યો પ્રતિબંધનો પત્ર
રહાણેએ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે મેચ રેફરીએ તો યશસ્વી પર ચાર મેચનો પ્રતિબંધ મુકતો પત્ર (Letter) પણ તૈયાર કરી લીધો હતો.
રહાણેએ કહ્યું, "રેફરી યશસ્વી પર 4 મેચનો પ્રતિબંધ લગાવવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા અને તેમણે એક લેટર પણ લખી દીધો હતો. તે મારી પાસે આવ્યા અને કહ્યું, 'આ રહ્યો પ્રતિબંધનો પત્ર, પણ તેં કેપ્ટન તરીકે જે રીતે પરિસ્થિતિ સંભાળી અને યશસ્વીને બહાર મોકલ્યો, તે પછી હવે હું આ લેટર ફાડી નાખું છું.' તેમણે મારી નજર સામે જ તે પત્ર ફાડી નાખ્યો. હું ખુશ હતો કે મારા ખેલાડી પર કોઈ પ્રતિબંધ ન લાગ્યો અને તેની કારકિર્દી પર ડાઘ ન લાગ્યો. આજે તે જ યશસ્વી ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે."
