નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી સ્થગિત છે. આ દરમિયાન પર સ્પોર્ટ્સ પર્સનાલિટી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સની સાથે સંપર્કમાં રહેતા હોય છે. ભારતના અનેક ક્રિકેટર્સ બાદ લેગ સ્પિનર અમિત મિશ્રાએ પણ લોકડાઉન દરમિયાન દિલની વાત કરી હતી.


અમિત મિશ્રાએ યૂટ્યુબ ચેનલ સ્પોર્ટ્સ તક સાથે વાત કરતા કહ્યું, "દરેક સ્તર પર વિકેટ લેવા છતાં મને રાષ્ટ્રીય ટીમમાંથી કેમ બહાર રાખવામાં આવ્યો તે સમજાતું નથી. ફેબ્રુઆરી 2017માં ઈંગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં ઈજાગ્રસ્ત બન્યા બાદ ભારત તરફથી હું રમી શક્યો નથી. હું મારી જાતને પૂછતો હોઉ છું કે મારી સાથે આમ કેમ થયું ? કોઈપણ મને સંતોષજનક જવાબ આપી શકતા નથી. તે સમયે ટીમમાં એવો નિયમ હતો કે જો કોઈને ઈજાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવે તો તે ટીમમાં પરત આવી શકશે. દોઢ વર્ષની ઈજા બાદ સાહાએ વાપસી કરી, મને ખબર નથી પડતી કે મારી સાથે કેમ આમ થયું."

મિશ્રાએ આગળ કહ્યું કે, મારું ફોર્મ પણ સારું હોવા છતાં મને સ્થાન મળતું નહોતું. ઈજામાંથી મુક્ત થયા બાદ આજ સુધી સિલેક્ટર્સ કે ટીમ મેનેજમેન્ટે મારી સાથે વાત નથી કરી. કેપ્ટન કોહલીએ મને આશ્વાસન આપ્યું હતુ કે, હું રાષ્ટ્રીય પસંદગીકર્તા સાથે વાત કરીશ પરંતુ કંઈ થયું નથી.

તેણે જણાવ્યું, મારી અંતિમ ઈચ્છા ભારત માટે ટી-20 ફોર્મેટમાં રમવાની છે. કારણકે મારી આંતરરાષ્ટ્રીય કરિયર અચાનક જ ખતમ થઈ ગઈ હતી. ઈજાના કારણે મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જેવો ધોનીએ ગાંગુલીને સપોર્ટ કર્યો તેવો જો કોઈએ મને કર્યો હોત તો હું 70 કે 80 ટેસ્ટ મેચ રમી શક્યો હતો.

અમિત મિશ્રાએ ટીમ ઈન્ડિયા તરફથી 22 ટેસ્ટમાં 76 વિકેટ, 36 વન ડેમાં 64 વિકેટ અને 10 ટી20માં 16 વિકેટ ઝડપી છે. 147 આઈપીએલ મેચમાં તેણે 157 વિકેટ લીધી છે.