IND vs SA ODI:  જોહાનિસબર્ગ ODIમાં સાઉથ આફ્રિકા સામે શાનદાર જીત અપાવ્યા બાદ ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપે કહ્યું કે માત્ર થોડી ઓવર બોલિંગ કર્યા બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. દરિયાની સપાટીથી જમીનની ઊંચાઈને કારણે તેણે હાંફ ચડી રહ્યો હતો. જો કે, તેમ છતાં, તેણે 5 વિકેટ લીધી અને દક્ષિણ આફ્રિકાને માત્ર 116 રનમાં આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તે આ મેચનો 'પ્લેયર ઓફ ધ મેચ' પણ બન્યો હતો.


 




મેચ બાદ અર્શદીપે કહ્યું, હું થોડો થાક અનુભવી રહ્યો છું પરંતુ આ ક્ષણ ખૂબ જ શાનદાર છે. આ માટે હું ટીમ મેનેજમેન્ટનો આભાર માનીશ. આ મેદાન અન્ય મેદાનો કરતા ઘણું અલગ છે. જ્યારે થોડી ઓવરો બોલિંગ કર્યા પછી મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, ત્યારે મારુ ધ્યાન દરિયાની સપાટીથી આ જમીનની ઊંચાઈ પર ગયું.


'રાહુલ ભાઈએ 5 વિકેટ લેવા કહ્યું'
અર્શદીપે કહ્યું, 'દેશ માટે રમવું એ એક સપનું છે અને જ્યારે તમને આવું કરવાની તક મળે છે ત્યારે તે ખૂબ જ અલગ અહેસાસ કરાવે છે. હું મારા રોલને એન્જોય કરી રહ્યો છું. હું રાહુલ ભાઈ નો આભાર માનું છું. તેણે કહ્યું હતું કે મારે મજબૂત વાપસી કરવી જોઈએ અને પાંચ વિકેટ લેવાનું લક્ષ્ય રાખવું જોઈએ.


 






આગામી બે મેચની તૈયારીઓ સાથે જોડાયેલા સવાલ પર અર્શદીપે કહ્યું, 'આ રમતનો આનંદ માણવાની વાત છે. ઠીક છે, જ્યારે આપણે ગકેબરાહા જઈએ છીએ, ત્યારે આપણે ત્યાં શું કામ કરશે તે જાણવાની જરૂર છે. આ પછી આપણે ત્યાં પણ સારા પરિણામ માટે સખત મહેનત કરવી પડશે.


પ્રથમ વખત ODIમાં સફળતા
અર્શદીપે જોહાનિસબર્ગ વનડેમાં દક્ષિણ આફ્રિકાની પ્રથમ ચાર વિકેટ લીધી હતી. તેણે ઇનિંગ્સની 9મી વિકેટ પણ લીધી હતી. અર્શદીપે વનડેમાં 5 વિકેટ લીધી હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. આ પહેલા તેણે ત્રણ વનડે મેચ રમી હતી પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી.