Vijay Hazare Trophy: ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં T20 શ્રેણી ચાલી રહી છે. આ શ્રેણી 19 ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ ભારતીય ટીમનું આગામી મિશન ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી છે, જે 11 જાન્યુઆરી, 2026 થી શરૂ થવાની છે. આ બે શ્રેણી વચ્ચે મળતા લાંબા બ્રેકનો સદુપયોગ કરવા અને ખેલાડીઓની મેચ ફિટનેસ જાળવી રાખવા માટે BCCI એ કમર કસી છે. બોર્ડે તમામ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેમણે આ સમયગાળા દરમિયાન ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો પડશે.

Continues below advertisement

BCCI ના એક ઉચ્ચ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે મુલ્લાનપુરમાં રમાયેલી બીજી T20 મેચ બાદ ખેલાડીઓને આ સંદેશ આપી દેવામાં આવ્યો છે. હવે વિજય હજારે ટ્રોફીમાં રમવું એ કોઈ 'વૈકલ્પિક' (Optional) બાબત નથી, પરંતુ ફરજિયાત છે. ટુર્નામેન્ટના 6 રાઉન્ડમાંથી ખેલાડીઓએ પોતાની અનુકૂળતા અને રાજ્ય એસોસિએશન સાથે સંકલન સાધીને કોઈપણ બે મેચ રમવી પડશે. આ નિર્ણય પાછળનું એક કારણ ઓસ્ટ્રેલિયામાં થયેલા કંગાળ પ્રદર્શન બાદ ખેલાડીઓને ફરી લયમાં લાવવાનું પણ માનવામાં આવે છે.

આ આદેશને પગલે હવે ચાહકોને ઘરેલુ મેદાનો પર સ્ટાર ખેલાડીઓનો જમાવડો જોવા મળશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા દિગ્ગજો પોતપોતાના રાજ્યની ટીમ માટે રમતા જોવા મળી શકે છે. અહેવાલો મુજબ, વિરાટ કોહલીએ તો દિલ્હી તરફથી રમવા માટે પોતાની તૈયારી પણ દર્શાવી દીધી છે. આનાથી ડોમેસ્ટિક ક્રિકેટનો રોમાંચ વધશે અને યુવા ખેલાડીઓને શીખવાની તક મળશે.

Continues below advertisement

જોકે, આ બધા વચ્ચે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને બોર્ડે ખાસ રાહત આપી છે. અય્યરને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તે હાલ રાષ્ટ્રીય ટીમમાંથી પણ બહાર છે. તે હાલમાં NCA માં રિકવરી કરી રહ્યો હોવાથી, મેડિકલ ગ્રાઉન્ડ પર તેને ડોમેસ્ટિક મેચ રમવામાંથી મુક્તિ આપવામાં આવી છે. BCCI ઈચ્છે છે કે તે સંપૂર્ણ સ્વસ્થ થઈને જ મેદાનમાં વાપસી કરે.

વિજય હજારે ટ્રોફીની શરૂઆત 24 ડિસેમ્બર, 2025 થી થશે અને તે 18 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. બોર્ડનો આ નિર્ણય ભારતીય ક્રિકેટના પાયાને મજબૂત કરવા માટે અને ખેલાડીઓને જમીની સ્તર સાથે જોડી રાખવા માટે એક આવકારદાયક પગલું ગણાઈ રહ્યું છે.