નવી દિલ્લીઃ ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાતાં કોહલીના ચાહકો નારાજ છે. આ નિર્ણય માટે બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલી જવાબદાર હોવાની ટીકા વચ્ચે ગાંગુલીએ આ મુદ્દે ખુલાસો કરતાં કહ્યું છે કે, કોહલીને વન ડે કેપ્ટન તરીકે દૂર કરીને રોહિત શર્માને આ જવાબદારી સોંપવાનો નિર્ણય રાષ્ટ્રીય પસંદગીકારો અને બીસીસીઆઇએ ભેગા મળીને લીધો છે.


ગાંગુલીએ કોહલીની હકાલપટ્ટી કેમ કરાઈ તેનો ખુલાસો પણ કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, કોહલીએ જ્યારે ભારતીય ટી-20 ટીમના કેપ્ટન તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી તે પહેલાં અમને પોતાન નિર્ણય વિશે જણાવ્યું હતુ. જો કે અમે તમામે તેને વિનંતી કરી હતી કે,  ટી-20ના કેપ્ટન તરીકે રાજીનામું ના આપીશ કેમ કે અત્યારે ટીમને જરૂર છે.  જો કે કોહલી માન્યો નહી અને તેણે સામે ચાલીને ટી-20ની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી દીધી હતી.


ગાંગુલીએ કહ્યું કે, કોહલીના ટી-20ની કેપ્ટન્સી છોડવાના નિર્ણય બાદ પસંદગીકારોને લાગ્યું કે, વ્હાઈટ બોલના ફોર્મેટ એટલે કે ટી-20 અને વન ડે ટીમમાં બે જુદા-જુદા કેપ્ટન હોય તો ટીમ પર તેની વિપરીત અસર થઈ શકે છે. આ કારણે અમે નક્કી કર્યું કે, કોહલી ભલે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન્સી કરે પણ ટી-20 અને વન ડે ટીમની કેપ્ટન્સી બીજા કોઈને સોંપવી જોઈએ.


ગાંગુલીએ કહ્યું કે, આ કારણે રોહિત શર્માને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવાયો છે કેમ કે રોહિત શર્મા લાયક છે. ગાંગુલીએ કહ્યું કે, બીસીસીઆઇના પ્રમુખ તરીકે મેં અને ચીફ સિલેક્ટર ચેતન શર્માએ આ અંગે કોહલી સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી પણ કોહલી માન્યો નહોતો.


ભારતીય ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની વન ડે ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માના નામની જાહેરાત કરીને  કોહલીની વન ડે ટીમના કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરવામાં આવી છે