નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ આખી દુનિયા પ્રભાવિત થઇ રહી છે, ક્રિકેટ સાથે જોડાયેલી ગતિવિધિઓ ઠપ્પ થઇ ગઇ છે. દુનિયામાં ક્યાંક ક્રિકેટ રમાઇ રહી નથી, જેના કારણે દુનિયાના કેટલાક દેશોના ક્રિકેટ બોર્ડે આર્થિક રીતે પડી ભાંગ્યા છે. કેટલાકને ભારે નુકશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.


એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCI આ નુકસાનીની ભરપાઇ કરવા માટે એક સ્પેશ્યલ પ્લાન પર કામ કરી રહ્યું છે.

ખાસ વાત છે કે દુનિયાભરમાં ક્રિકેટ સાથે જોડાયેલી રેવન્યૂનો મોટા ભાગ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ પાસેથી આવે છે. બીસીસીઆઇ સચિવ જય શાહે આઇસીસીની મીટિંગ દરમિયાન બીજા દેશોને વિશ્વાસ અપાવ્યો છે કે તે જલ્દી બોર્ડની નુકશાનીની ભરપાઇ માટે કોઇ સમાધાન લઇને આવશે.



અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફરીથી ક્રિકેટ શરૂ થશે ત્યારે ટીમ ઇન્ડિયા નાના દેશો સાથે વધુ મેચો રમતી દેખાશે. આની સાથે બીસીસીઆઇના એક અધિકારીએ આઇસીસીના ટી20 વર્લ્ડકપ દરમિયાન 8 મેદાનો પર રમવાના નિર્ણય સામે પણ સવાલો ઉભા કર્યા છે.

અધિકારીએ કહ્યું કે મોટાભાગના દેશોએ મુસાફરીમાં પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે આઇસીસી કઇ રીતે વિચારી શકે છે કે ટી20 વર્લ્ડકપ ઓક્ટોબરમાં 8 મેદાનો પર રમાશે. ઓસ્ટ્રેલિયા ડિસેમ્બરમાં રમાનારી ટેસ્ટ સીરીઝને જ એક મેદાન પર રમાડવા માગે ચે આવામાં ટી20 વર્લ્ડકપ 8 મેદાનો પર કેવી રીતે મેનેજ થશે.



રિપોર્ટ છે કે ઇન્ડિયન ટીમ કેલેન્ડર વર્ષમાં કેટલીક વધુ સીરીઝોને જોડી શકે છે, જેનાથી આર્થિક કમજોર દેશોને ફાયદો મળે.

એક અનુમાન પ્રમાણે, બીસીસીઆઇએ આઇપીએલમાંથી 2020-21ની સિઝનમાં લગભગ 2500 કરોડ રૂપિયા અને બે દેશોની સીરીઝથી લગભગ 900 કરોડ રૂપિયાની કમાણીની આશા છે.