લાહોરઃપાકિસ્તાની અમ્પાયર અલીમ દાર કોરોના વાયરસની મહામારી વચ્ચે બેરોજગારોને પોતાની રેસ્ટોરન્ટમાં મફતમા જમવાનું આપી રહ્યા છે. પાકિસ્તાનમાં કોરોનાના કારણે લોકડાઉન છે. જ્યાં 100થી વધુ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ વાયરસના કારણે દુનિયાભરમાં ત્રણ અબજ લોકો ઘરોમાં કેદ છે અને 21 હજારથી વધુ લોકોના મોત થયા છે.



અલીમ દારે ટ્વિટર પર એક વીડિયો સંદેશ પોસ્ટ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન લોકો બેરોજગાર થયા છે. મારી એક રેસ્ટોરન્ટ લાહોરના પિયા રોડ પર છે જેનું નામ દર્સ ડિલાઇટો છે. અહી બેરોજગાર લોકો મફતમાં જમી શકે છે. પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પોતાની ચેરિટી ફાઉન્ડેશન મારફતે રાહત કાર્યમાં લાગ્યો છે.

અલીમ દારે કહ્યું કે, કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો છે. પાકિસ્તાન પણ તેની ઝપેટમાં છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે સુરક્ષા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. પાકિસ્તાની ક્રિકેટરોએ સરકારને 50 લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો સ્ટાફ પણ દાન આપશે.