નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરે બુધવારે પોતાની મંગેતર સાથે લગ્ન કરી લીધા. વિજય શંકરે વૈશાલી વિશ્વેશર નામની યુવતી સાથે લગ્ન કરી લીધા છે. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા લગ્ન સમારોહમાં ઓછો લોકો જોડાયા હતા. જ્યારે વિજય પણ હવે પરણિતોની યાદીમાં સામેલ થઈ ગયો છે.


આઈપીએલની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદ્રાબાદે વિજય શંકરને લગ્નની તસવીર શેર કરતાં તેમને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, ‘અમે આ નવપરણિત કપલને તેના જીવનના શાનદાર દિવસ માટે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે જ તેના સારા લગ્નજીવનની કામના કરીએ છીએ.’ નોંધનીય છે કે, ઓલરાઉન્ડર વિજય શંકર આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમમાંથી રમે છે.



ગયા વર્ષે ઓગસ્ટમાં કરી હતી સગાઈ
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે વિતેલા વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તસવીર શેર કરીને તેની જાણકારી આપી હતી. વિજયે પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશ્વરનની સાથે સગાઈની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આઈપીએલ 2020 માટે યૂએઈ રવાના થતા પહેલા તેની સગાઇના અહેવાલ સામે આવ્યા હતા. આ અવસર પર કેએલ રાહુલ યુઝવેન્જ્ર ચહલ, શ્રેયસ અય્યર, કૃણાલ પંડ્યા, વરૂણ નાયર, મોહમ્મદ સિરાજ, સિદ્ધાર્થ કૌલ અને અભિનવ મુકુંદ જેવા ખેલાડીઓએ તેની તસવીર પર કમેન્ટ કરતાં શુભેચ્છા પાઠવી હતી.



વર્લ્ડકપમાં રમી હતી અંતિમ મેચ
વિજયે છેલ્લી મેચ વર્લ્ડકપમાં રમી હીત. આ મેચ 27 જૂન 2019ના રોજ ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ હતી. વિજય ઇજાગ્રસ્ત થયા બાદ વચ્ચે જ વર્લ્ડકપ છોડવો પડ્યો હતો. જોકે તે વર્લ્ડકપમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો અને તેના કારણે ટીમ મેનેજમેન્ટ પર અનેક સવાલ ઉઠ્યા હતા. ત્યાર બાદ તે ટીમ ઇન્ડિયાનો ભાગ બનવામાં સફળ નથી રહ્યો. જ્યારે આઈપીએલમાં તે સનરાઈઝર્સ હૈદ્રાબાદ તરફથી રમે છે.