IPL 2020: આઈપીએલના ઇતિહાસની સૌથી સફળ ટીમોમાંથી એક એવી ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સીએસકેના તમામ ખેલાડીઓ અને સ્ટાફનો બીજો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે શુક્રવારથી ધોનીની ટીમ પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. તેની સાથે જ સીએસકેની આઈપીએલની ઓપનિંગ મેચ રમવાની સંભાવના પણ પ્રબળ થઈ ગઈ છે.


વિતેલા સપ્તાહે સીએસકના બે ખેલાડીઓ સહિત 13 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાની જાણકારી સામે આવી હતી. ત્યાર બાદ સમગ્ર ટીમનો આઈસોલેશન પીરિયડ 4 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો. તેની સાથે જ ધોનીની ટીમ પર પ્રેક્ટિસ પર પરત ફરતા પહેલા બે કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવવાની શરત પણ લાગુ કરવામાં આવી હતી.

ગુરુવારે સીએસકેની પૂરી ટીમનો બીજી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટે જાણકારી આપી છે કે બીજી ટેસ્ટમાં તમામ ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તે શુક્રવારથી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દેશે.