નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં હવે ઇન્ટરનેશનલ સ્ટારની એન્ટ્રી થઈ ગઈ છે. ખેડૂત આંદોલનને લઈને હોલિવૂડ સ્ટાર રિહાનાએ ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને લઈને બે ફેબ્રુઆરીના રોજ રાત્રે એક ટ્વીટ કર્યું હતું. રિહાનાએ એક રિપોર્ટની લિંક શેર કરતાં આંદોલન દરમિયાન ઇન્ટરનેટ સેવા રોકવા પર સવાલ ઉઠાવ્યા છે.


રિહાનાએ આ મુદ્દે ટ્વીટ કરતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. પોતાના આ ટ્વીટ બાદ રિહાના ભારતમાં ટોપ ટ્વીટર ટ્રેન્ડ બની ગઈ છે. કોઈ તેને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવે છે તો કોઈ રિહાનાના વખાણ કરી રહ્યા છે. અનેક મોટા ભારતીય સ્ટાર પણ રિહાનાનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાકે કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે, તેમાં દખલ ન દેવી જોઈએ.

ભારતીય ક્રિકેટ પ્રજ્ઞાન ઓઝાએ પણ રિહાનાને પોતાના કામથી કામ રાખવાની સલાહ આપી છે. તેણે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમને અમારા આંતરિક મુદ્દાઓમાં કોઈ બહારની વ્યક્તિની દખલગીરીની જરૂરત નથી.


પ્રજ્ઞાન ઓઝાએ ટ્વીટ કર્યું, “મારો દેશ ખેડૂતો પર ગર્વ કરે છે અને જાણે છે કે તે કેટલા મહત્ત્વપૂર્ણ છે, મને વિશ્વાસ છે કે ટૂંકમાં જ આ મામલે સમાધાન નીકળી જશે. અમને અમારા આંતરિક મુદ્દાઓ પર કોઈ બહારની વ્યક્તિની દખલગીરીની જરૂરત નથી.”