WTC Final Washes : ભારતીય ક્રિકેટે તમામ ખેલાડીઓ સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. રોહિત શર્માની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કોઈ જ કસર છોડવા માંગતી નથી. બીજી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડના ઓવલમાં 7 થી 11 જૂન દરમિયાન રમાશે. આઈપીએલની ફાઈનલની માફક આ મેચ પર પણ વરસાદના વાદળ છવાયા છે. હવે સવાલ એ છે કે, જો વરસાદના કારણે મેચ પુરી ના થાય તો ટ્રોફી કોને મળશે?


ભારતીય ક્રિકેટ ટીમે સતત બીજી વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની હારને કારણે ભારતે પહેલી વખત રનર અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ કોઈપણ ભોગે ટ્રોફી પર કબજો કરવા આતુર છે.


ભારતે 7 થી 11 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમવાની છે. ગત વખત જ્યારે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે રમવા ઉતરી ત્યારે કમાન વિરાટ કોહલીના હાથમાં હતી. જ્યારે આ વખતે ટીમ ઈન્ડિયા રોહિત શર્માના નેજા હેઠળ મેદાને પડશે. 


તાજેતરમાં, ભારતની લોકપ્રિય ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચનો નિર્ણય રિઝર્વ ડે પર આવ્યો હતો. હવે વરસાદનો પડછાયો ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પર મંડરાઈ રહ્યો છે અને આ મેચ પણ રિઝર્વ ડે સુધી પહોંચી શકે છે.


સવાલ એ ઊભો થાય છે કે, કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે, તો પછી ટ્રોફીના વિજેતાનો નિર્ણય કેવી રીતે થશે? જો મેચનો નિર્ણય 7 જૂનથી 11 જૂન સુધી ન આવે તો તેને 1 દિવસ આગળ ધપાવીને 12 જૂન સુધી ચાલુ રાખી શકાય છે.


જો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની આ મેચમાં વરસાદના કારણે ધોવાઈ જ જાય તો આવી સ્થિતિમાં ટ્રોફી કોને આપવામાં આવશે. ICCના નિયમો અનુસાર, આવી સ્થિતિમાં ફાઇનલમાં પહોંચનાર ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેની ટીમને ICC દ્વારા સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.