નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના સન્યાસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ગંભીર ધોનીના કેપ્ટન તરીકેના એક કારનામાં પર શરત લગાવવા તૈયાર થઇ ગયો છે. ગંભીરે કહ્યું કે, ભારતને ધોની જેવો કેપ્ટન ફરી નહીં મળે.


ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સના કાર્યક્રમ ક્રિકેટ કનેક્ટેડમાં કહ્યું કે, ધોનીનો જો કોઇ રેકોર્ડ હંમેશા માટે યાદ રાખવા જેવો હોય તો તે છે ત્રણ આઇસીસી ટ્રૉફી. મને નથી લાગતુ કે કોઇ પણ કેપ્ટન માટે આ હાંસલ કરવુ આસાન હશે. હું શરત મારીને કહુ છું કે ધોનીનો આ રેકોર્ડ કોઇ નહીં તોડી શકે.

ગંભીરે કહ્યુ શતકોનો રેકોર્ડ તોડી શકાય છે, રોહિત શર્માની સરખામણીમાં કદાચ કોઇ બીજુ આવીને આ બેવડી સદીનો રેકોર્ડ તોડી શકે છે. પરંતુ મને નથી લાગતુ કોઇ ભારતીય કેપ્ટન ત્રણ આઇસીસી ટ્રૉફી જીતી શકે, એટલા માટે મહેન્દ્ર સિંહ ધોની માટે આ યાદગાર રહેવાનુ છે.



કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર....
ધોનીએ તેજતર્રાર વિકેટકીપર બેટ્સમેન હતો, જેને ભારતને 2007માં ઉદઘાટન ટી20 વર્લ્ડકપમાં વિજેતા બનાવ્યુ હતુ, અને વર્ષ 2011ના વર્લ્ડકપ ઇવેન્ટમાં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. તેનો જન્મ 7 જુલાઇએ થયો હતો.

ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.