World Cup 2023 Semi Finalist Teams: ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ વર્લ્ડ કપ 2023ની ભવિષ્યવાણી કરી અને જણાવ્યું કે કઈ ચાર ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવતા ગ્લેન મેકગ્રાએ કહ્યું કે આગામી ટુર્નામેન્ટ ખૂબ જ કપરી બનવાની છે. 53 વર્ષીય ગ્લેન મેકગ્રાના જણાવ્યા અનુસાર, પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, યજમાન ભારત, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને 1992 વર્લ્ડ કપ ચેમ્પિયન પાકિસ્તાન આગામી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવશે. મેકગ્રાએ એમ પણ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને ટોપ-4માં સામેલ  કરવા પર કોઈ નવાઈ નથી.


ગ્લેન મેકગ્રાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "તમને આશ્ચર્ય થશે નહીં કે મેં ઓસ્ટ્રેલિયાને ટોપ-4માં સ્થાન કેમ આપ્યું.  ભારત નિશ્ચિતપણે તેમના હોમગ્રાઉન્ડ પર રમશે. ઈંગ્લેન્ડે કેટલીક સારી ક્રિકેટ રમી છે અને પાકિસ્તાન પણ સારું રમી રહ્યું છે. જેથી આ ચાર ટીમો સેમી ફાઇનલમાં પહોંચશે. વર્લ્ડકપ 2023 પહેલા સેમીફાઈનલને લઈ ગ્લેન મેકગ્રાએ મોટી ભવિષ્યવાણી કરી દિધી છે. 


તમને જણાવી દઈએ કે ICC ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ 8 ઓક્ટોબરે ભારત સામે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.


ઇયોન મોર્ગને આ  નામ પર મહોર મારી 


ઈંગ્લેન્ડને 2019નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને તાજેતરમાં વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ માટે પોતાની મનપસંદ ચાર ટીમો પસંદ કરી છે. મોર્ગને સેમિફાઇનલ માટે ઇંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને પણ ફેવરિટ ગણાવ્યા હતા. જોકે, એક પણ દિગ્ગજ ખેલાડીએ ન્યુઝીલેન્ડના નામ પર મહોર મારી નથી. ન્યુઝીલેન્ડની ટીમ મજબૂત છે અને તેઓ મોટા કારનામા કરવામાં માહિર છે.  વર્લ્ડકપ 2023માં કઈ ચાર ટીમ પહોંચશે એ આવનારો સમય બતાવશે. પરંતુ એ પહેલા દિગ્ગજ ખેલાડીઓની ભવિષ્યવાણી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.  


વર્લ્ડ કપ 2023ની શરુઆત 5 ઓક્ટોબરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે આમને-સામને થશે. જો કે એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયાનો મુકાબલો 14 ઓક્ટોબરે બાબર આઝમની ટીમ સાથે થશે.


ભારત-પાકિસ્તાન મેચની તારીખ કેમ બદલાઈ ?


હાલમાં જ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. તે શિડ્યુલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી, પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં નવરાત્રિનો પહેલો દિવસ 15 ઓક્ટોબરે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. 


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial