ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યો છે પરંતુ તે હજુ પણ સતત એક્શનમાં છે. યુવા ટીમ શુભમન ગિલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમના માત્ર 3 સભ્યો અહીં રમી રહ્યા છે. જેઓ ત્રીજી ટી-20 મેચમાંથી પરત ફરવાના છે. આ શ્રેણી પછી ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જશે, જ્યાં ટી-20 અને વન-ડે શ્રેણી રમાશે. આ શ્રેણી માટે ટીમની જાહેરાત થવાની બાકી છે પરંતુ કેટલાક મોટા સમાચાર આવવાના શરૂ થઈ ગયા છે. આમાં સૌથી મહત્વનો મુદ્દો કેપ્ટન પદનો છે. કારણ કે રોહિત શર્માને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલ આ પ્રવાસ પર વન-ડે શ્રેણીનો કેપ્ટન બની શકે છે.


ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ જૂલાઈના અંતમાં શરૂ થશે, જે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધી ચાલશે. આ પ્રવાસ 27 જુલાઈથી 3 મેચની T20 શ્રેણી સાથે શરૂ થશે અને માનવામાં આવે છે કે મોટાભાગના ખેલાડીઓ વિશ્વ કપ જીતવાના વિરામ બાદ આ શ્રેણીમાંથી પરત ફરશે. ટી-20 વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ વાપસી કરી શકે છે અને અહીં તેને આ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ મળી શકે છે. આ પછી વનડે સિરીઝ રમાશે અને અહીં કોને કેપ્ટન્સી મળશે તેના પર નજર રહેશે.


શું રાહુલ બનશે વન-ડે  કેપ્ટન?


પીટીઆઈના અહેવાલ અનુસાર, ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ આ વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે. તેના સિવાય અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ આ સમગ્ર પ્રવાસમાંથી બહાર રહેશે. આવી સ્થિતિમાં કેપ્ટનશિપની જવાબદારી માટે પસંદગી સમિતિની સામે બે મુખ્ય દાવેદાર છે - હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ. આ બેમાંથી માત્ર એક જ વન-ડે ટીમની કેપ્ટનશીપ સંભાળી શકશે. હવે આ સન્માન કોને મળે છે તે આવતા અઠવાડિયે નક્કી થશે, જ્યારે આ પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે.


રોહિત ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેપ્ટનશીપ કરશે


જો કે, કેએલ રાહુલે તાજેતરના સમયમાં કેપ્ટનશિપના મોરચે સુધારો કર્યો છે અને વધુ સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તેમને આ જવાબદારી મળવાની સંભાવના છે. કોઈપણ રીતે આ ફોર્મેટમાં કેપ્ટનશીપમાં કાયમી ફેરફાર થવાનો નથી કારણ કે BCCI સચિવ જય શાહે એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમશે. પરંતુ આ શ્રેણીમાં જેને કેપ્ટન પદ મળશે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાઇસ કેપ્ટનશિપનો દાવેદાર બની શકે છે.