IND vs AUS World Cup 2023 Final: સમગ્ર દેશમાં વર્લ્ડ કપનો ક્રેઝ છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ વખતે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને સેમિફાઇનલ સુધી 10 મેચ જીતી, જેમાં તેણે પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને પણ હરાવી. આ સાથે સમગ્ર દેશને આશા છે કે વર્લ્ડ કપ ભારત જીતશે. અમદાવાદમાં ફાઈનલ મેચ પહેલા શહેરની તમામ હોટલો હાઉસફુલ થઈ ગઈ છે અને ટ્રાન્સપોર્ટ પણ મોંઘુ થઈ ગયું છે.


PM મોદી પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે


4 વર્ષ બાદ યોજાનારા આ મહાનમુકાબલામાં પીએમ નરેન્દ્ર મોદી પોતે તેમના નામે બનેલા આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ નિહાળશે. આવી સ્થિતિમાં દૂર-દૂરથી ભારતીય ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે, પરંતુ ટિકિટ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં અમદાવાદ ક્રિકેટ જોવા જતા લોકોને સેન્ટ્રલ  રેલવેએ મોટી ભેટ આપી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.


આ વિશેષ ટ્રેન મુંબઈથી દોડશે


સેન્ટ્રલ રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ 19 નવેમ્બરે યોજાનારી ફાઇનલ ક્રિકેટ મેચ માટે બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ (01153) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી 18મી નવેમ્બર (શનિવાર)ના રોજ રાત્રે 10.30 વાગ્યે અમદાવાદ ગુજરાત માટે ઉપડશે અને રવિવારે સવારે 6.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન દાદર, થાણે, વસઈ,  સુરત અને વડોદરા ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં મુસાફરી કરતા ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચ્યા બાદ આરામથી મેચ નિહાળી શકશે. ત્યારબાદ પરત ફરવા માટે અમદાવાદ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ એક્સપ્રેસ (01154) 19-20 નવેમ્બર (સોમવાર) ના રોજ 01.44 કલાકે મુંબઈ માટે ઉપડશે જે સવારે 10.35 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.


આ ટ્રેન પણ દોડશે


તેવી જ રીતે સેન્ટ્રલ રેલવેએ બીજી ટ્રેનની જાહેરાત કરી છે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વિશેષ ટ્રેન (09011) બાંદ્રા ટર્મિનસથી 18મી નવેમ્બર (શનિવાર)ના રોજ ઉપડશે અને અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રાત્રે 11.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રવિવારે (19 નવેમ્બર) સવારે 07.20 વાગ્યે અમદાવાદ પહોંચશે. એવું માનવામાં આવે છે કે રેલવેની આ પહેલ ક્રિકેટ જોનારા લોકોને મોટી રાહત આપી શકે છે.