ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી વન-ડે સીરિઝ શરૂ થઈ રહી છે. આ વર્ષના અંતમાં ભારતમાં ODI વર્લ્ડ કપ યોજાવાનો છે, આવી સ્થિતિમાં બંને ટીમો આ શ્રેણીમાં પોતાની પૂરી તાકાત લગાવતી જોવા મળશે. બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. તો હવે તેની નજર વનડે સીરિઝ પણ જીતવા પર છે.


જો કે ટીમ ઈન્ડિયા માટે આ આસાન નથી. કારણ કે ભારતમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ પણ ઘણો સારો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે દરેક મોરચે ટકી રહેવું પડશે. કારણ કે કાંગારૂ ટીમે 2019માં ભારતને તેના ઘરઆંગણે વનડે શ્રેણીમાં હરાવ્યું હતું.


જો તમે આંકડાઓ પર નજર નાખો તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડેમાં અત્યાર સુધીમાં કુલ 143 મેચ રમાઈ છે, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 80માં જીત મેળવી છે, જ્યારે ભારતે 53 મેચ જીતી છે. બીજી તરફ ભારતમાં રમાયેલી ODI મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો કુલ 64 મેચોમાંથી ઓસ્ટ્રેલિયાએ 30 અને ભારતે 29 મેચ જીતી છે.


જ્યારે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો


ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2018/19ની ODI શ્રેણીમાં ભારતને 3-2થી હરાવ્યું હતું. સીરીઝની પ્રથમ બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા અહીં ફફડી ગઈ અને ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ત્રણ મેચ જીતીને સીરીઝ જીતી લીધી હતી. તે શ્રેણીમાં ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા માટે 2 સદી ફટકારી હતી અને 5 મેચમાં 383 રન બનાવીને ટોચનો સ્કોરર હતો. ભારત માટે વિરાટ કોહલીએ 5 મેચમાં 2 સદી સહિત 310 રન બનાવ્યા હતા.


ટેસ્ટ શ્રેણીમાં એવી પીચો તૈયાર કરવામાં આવી હતી, જેના પર બોલ ઘણો ટર્ન થતો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમને ફાયદો થયો, પરંતુ વનડે શ્રેણીમાં આવું ભાગ્યે જ બનશે. કારણ કે વનડેમાં મેચને રોમાંચક બનાવવા માટે અહીં બેટ્સમેન માટે અનુકૂળ પીચ તૈયાર કરવામાં આવે છે. જ્યાં સ્પિનરોને આટલો ટર્ન નહીં મળે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સાથે સખત મુકાબલો કરવો પડશે.


આ સિવાય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચમાં ઉપલબ્ધ નહીં હોય, તે બીજી-ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર પણ વનડે સીરીઝ પહેલા ઈજાગ્રસ્ત થયો છે અને તે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને મિડલ ઓર્ડરમાં તેની જગ્યાએ વધુ સારો વિકલ્પ પસંદ કરવો પડશે.