IND vs AUS World Cup 2023 Final: ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ રવિવારે (19 નવેમ્બર) દુનિયાની બે મોટી ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહી છે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યાથી શરૂ થઇ રહી છે. પરંતુ હવે આ મેચ પહેલા જાણી લઇએ કે અમદાવાદનું આ દિવસનું હવામાન કેવું રહેશે, ફાઇનલ મેચમાં વરસાદ પડશે કે નહીં ?


ભારતીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રવિવારે અમદાવાદનું હવામાન ક્રિકેટ માટે સંપૂર્ણપણે અનુકૂળ રહેશે. બંને ટીમો માટે પિચ પર એકબીજાનો સામનો કરવા માટે હવામાન એકદમ યોગ્ય રહેશે. તેજસ્વી સૂર્યપ્રકાશ અને સ્વચ્છ આકાશ સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની પુરેપુરી શક્યતા છે.


વરસાદ પડવાની કોઇ શક્યતા નથી 
હવામાન વિભાગે રવિવારે વરસાદ નહીં પડવાની આગાહી કરી છે, જેમ જેમ મેચ આગળ વધે તેમ સાંજે ભેજનું પ્રમાણ વધવાની ધારણા છે. આસાન શબ્દોમાં કહીએ તો  વરસાદને કારણે મેચમાં કોઈ વિક્ષેપ પડવાની કોઈ શક્યતા નથી.


આખુ અઠવાડિયું હવામાન રહેશે સ્વચ્છ, 34 ડિગ્રી સુધી રહેશે હવામાન 
IMD અનુસાર, અમદાવાદનું હવામાન 19 થી 22 નવેમ્બર સુધી સ્વચ્છ રહેવાની ધારણા છે. વળી, 23 અને 24 નવેમ્બરે પણ સૂર્યપ્રકાશ રહેશે. રવિવાર બાદ આગામી 3 દિવસ એટલે કે 22 નવેમ્બર સુધી શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત 23 અને 24 નવેમ્બરે તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસ વધીને 34 ડિગ્રી થવાની શક્યતા છે.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસી શકે છે 1.32 લાખ દર્શકો 
દરમિયાન, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્પૉર્ટ્સ એન્ક્લેવમાં સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં 132,000 દર્શકોની બેઠક ક્ષમતા છે. આ ક્ષમતા અનુસાર આ સ્ટેડિયમની ગણતરી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાનોમાં થાય છે. આ મેદાન પર પોતાની જીતનો ઝંડો ફરકાવવા માટે બે મહાન ક્રિકેટ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચમાં ટકરાવા માટે તૈયાર છે.


શાનદાર ફોર્મમાં છે વિરાટ કોહલી
ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તે ODI વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. આ સિઝનમાં ત્રણ સદી ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં 117 રનની ઇનિંગ રમી હતી. આ તેની ODI ક્રિકેટમાં 50મી સદી હતી. આ સાથે તે ODI વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં 711 રન બનાવ્યા છે.


ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં સતત 9 મેચ જીતીને સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. બીજીબાજુ ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ સતત મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે, જે થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે.