નવી દિલ્હીઃ ભારતીય ટીમે અમદાવાદમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમને સજ્જડ પરાજય આપ્યો, આ સાથે ચાર ટેસ્ટની સીરીઝમાં 2-1થી લીડ પણ મેળવી લીધી છે. પરંતુ આ મેચમાં ખાસ બોલબાલા બેટિંગની જગ્યાએ બૉલિંગ આક્રમણની રહી, અને ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલે તરખાટ મચાવતા ઇંગ્લેન્ડના બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા હતા. અક્ષર પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ બન્યો હતો.


જોકે, બૉલિંગથી કમાલ કરનારા અક્ષરને મેન ઓફ ધ મેચ મળ્યો હોવા છતાં ખુશ નથી, કેમકે તેને મેચ બાદ કહ્યું કે તે બૉલની સાથે બેટથી પણ કમાલ કરી શકતો તો તે વધુ ખુશ થતો.

અક્ષર પટેલને આ સીરીઝમાં રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, અક્ષરે કહ્યું- જ્યારે આવુ પરફોર્મન્સ થાય છે ત્યારે ખુશી થાય છે, હાલ હું મારુ આ ફોર્મ આગળ પણ ચાલુ રાખવા પ્રયાસ કરીશ. મને ખુશી છે કે હું બૉલથી જબરદસ્ત પરફોર્મ કરી શક્યો, પરંતુ જો બૉલિંગની સાથે સાથે બેટિંગથી પણ ટીમને યોગદાન આપવામાં સફળ રહ્યો હોય તો વધુ સારુ થતુ. હુ આને સકારાત્મક રીતે લઇ રહ્યો છું.

અક્ષર પટેલે ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતુ, અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેને ચાર ઇનિંગોમાં 18 વિકેટ ઝડપી હતી. જોકે, અક્ષરે હજુ જાડેજાની જેમ બેટિંગમાં કમાલ બતાવવાનો બાકી છે.