IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાઈ રહેલ ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર વાપસી કરી છે. ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 317 રનથી હાર આપી છે. ત્રીજી ટેસ્ટમાં પહેલા ટીમ ઇન્ડિયાને મોટી રાહત મળી છે. રિપોર્ટ્સ અનુસાર ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી થઈ શકે છે. ઉપરાંત નવદીપ સૈનીને પણ ટીમમાં સ્થાન મળી શકે છે.


બીસીસીઆઈ હજુ સુધી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનાર અંતિમ બે ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી નથી. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર મોહમ્મદ શમી પોતાની ઇજામાંથી બહાર આવી ગયા છે. શમીને વિતેલા 10 દિવસથી બોલિંગની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.

મોહમ્મદ શમીની ટીમમાં પસંદગી લિમિટેડ ઓવર્સ સીરીઝને ધ્યાનમાં રાખીને થશે. મોહમ્મદ શમીની બાકીની બે ટેસ્ટમાં રમવાની સંભાવના ખૂબ જ ઓછી છે. પરંતુ ટીમ સાથે જોડાયા બાદ શમીને પ્રેક્ટિસ કરવાની વધારે તક મળશે અને તે લિમિટેડ ઓવર સીરીઝ માટે પોતાની ફિટનેસ પૂરી રીતે મેળવી લેશે.

નવદીપ સૈનીની વાપસી નક્કી

બીસીસીઆઈ લિમિટેડ ઓવર સીરીઝમાં જસપ્રીત બુમરાહને આરામ આપવા વિશે વિચાર કરી રહી છે. એવી સ્થિતિમાં મોહમ્મદ શમીનો અનુભવ ટીમ ઇન્ડિયાને ઘણો કામ આવશે.

નવદીપ સૈની પણ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલ બ્રિસ્બેન ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને ઇંગ્લેન્ડ વિરૂદ્ધની પ્રથમ બે ટેસ્ટમાં સ્થાન મળ્યું ન હતું. નવદીપ સૈનીને નેશનલ ક્રિકેટ એકેડમીમાં સમય પસાર કરતાં પોતાની ફિટનેસ મેળવી લીધી છે અને તેનું ટીમમાં સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે.