અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદમાં ત્રીજી ટી20 મેચ રમાવવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચોની સીરીઝ રમાઇ રહી છે. પ્રથમ બે ટી20માં બન્ને ટીમો 1-1 બરાબરી કરી ચૂકી છે. પ્રથમ બે ટી20માંથી ઉપકેપ્ટન રોહિત શર્માને બહાર રખાયો હતો, આજની મેચમાં રોહિત શર્માની વાપસી છે, પરંતુ આ સાથે મોટા સમાચાર મળી રહ્યા છે કે આજની મેચમાંથી કેપ્ટન વિરાટ કોહલી બહાર રહી શકે છે.


ખરેખર, ટીમ ઇન્ડિયા માટે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સીરીઝ ખુબ મહત્વની છે. ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં પોતાના યુવા ખેલાડીઓને વધુમાં વધુ મોકો આપવા માગે છે. બીજી ટી20માં ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ડેબ્યૂનો મોકો મળ્યો હતો. 


ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ત્રીજી મેચમાં રમવાનુ નક્કી છે. ઇશાન કિશને 56 રનની ઇનિંગ રમીને પોતાના સિલેક્શનનો યોગ્ય રીતે સાબિત કરી બાતવ્યુ છે. જ્યારે સૂર્યકુમાર યાદવને બેટિંગ કરવાનો મોકો નથી મળ્યો. રોહિત શર્માને પહેલી બે મેચોમાં આરામ આપવામાં આવ્યો હતો, આવામાં રોહિત શર્માની ટીમમાં વાપસી માટે કેપ્ટન કોહલી કે પછી કેએલ રાહુલમાંથી કોઇ એકને બહાર બેસવુ પડી શકે છે. રિપોર્ટ પ્રમાણે આજની મેચમાં કેપ્ટન વિરાટ કોહલી બહાર બેસી શકે છે. 


કેએલ રાહુલને મોકો મળવાનુ નક્કી...
પ્રથમ બે ટી20માં કેએલ રાહુલ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલે પોતાની લય હાંસલ કરવા માટે એક વધુ મોકો આપી શકે છે. એટલા માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આજની ત્રીજી ટી20 મેચમાંથી ખુદ બહાર બેસીને રોહિત શર્માની વાપસીના રસ્તાં ખોલી શકે છે. 


ખાસ વાત છે કે આજની ત્રીજી ટી20 મેચમાં આ ઉપરાંત બીજા કોઇ ફેરફારની સંભાવના લગભગ નહીવત છે. હાર્દિક પંડ્યાએ ગઇ મેચમાં ચાર ઓવર બૉલિંગ કરી હતી. ત્રીજી ટી20 મેચમાં પણ પંડ્યા બૉલિંગ કરતો દેખાઇ શકે છે. 


ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચ....
અમદાવાદમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે, આ કારણે મેચમાં દર્શકોને આવવાની અનુમતી નથી આપવામાં આવી. ગુજરાતી ક્રિકેટ સંઘે ફેંસલો કર્યો છે કે હવે પછીની ત્રણેય ટી20 મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે, લગભગ 40 હજારથી વધુ ટિકીટો વેચાઇ ગઇ છે, પરંતુ હવે તે લોકોને તેમના ટિકીટના પૈસા પાછા આપી દેવામા આવશે. 


ટીમ ઇન્ડિયાને આઇસીસીએ ફટકાર્યો છે દંડ....
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આજે ત્રીજી મેચ છે, અને આ મેચ પહેલા ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. આઈસીસીએ રવિવારે રમાયેલ બીજી ટી20 મેચમાં સ્લો ઓવર રેટ માટે ટીમ ઇન્ડિયા પર મેચ ફીસનો 20 ટકા દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, ભારતીય ટીમને મેચ દરમિયાન નક્કી સમયમાં એક ઓવર ઓછી ફેંકવાની દોષી ગણવામાં આવી છે. ત્યાર બાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે તેના પર દંડ ફટકાર્યો છે.