India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે (IND vs SL) ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચ ગઇકાલે રોમાંચથી ભરેલી રહી, પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર જીત હાંસલ કરી, પરંતુ મેચ છેલ્લી ઓવર સુધી ગઇ હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટશીપ હેઠળની ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટના નુકશાને 162 રન બનાવ્યા હતા. વળી, શ્રીલંકન ટીમ 160 રન પર જ સમેટાઇ ગઇ, અને ભારતે આ મેચ અંતિમ બૉલ પર વિકેટ લઇને 2 રનથી જીતી લીધી હતી. 


શ્રીલંકાને 4 ઓવરમાં જીત માટે બનાવવાના હતા 40 રન - 
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને એક સમયે 4 ઓવરમાં જીત માટે 40 રનની જરૂર હતી, અને તેની પાસે 4 વિકેટો પણ બાકી બચી હતી. અહીં મેચ બરાબરી પર હતી, કેપ્ટન દાસુન શનાકા વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો હતો, ઉમરાન મલિકે 17મી ઓવરમાં શનાકાને આઉટ કરી ભારતીય ટીમની વાપસી કરાવી હતી. આ ઓવરમાં ઉમરાને માત્ર 8 રન આપ્યા અને એક વિકેટ ઝડપી હતી. 


ત્રણ ઓવરમાં 32 રનની જરૂર - 
અહીં શિવમ માવીએ લાજવાબ ઓવર ફેંકી, તેને પોતાની ઓવરમાં માત્ર 3 રન આપ્યા અને મહીષ તીક્ષણાને આઉટ કરીને ટીમ ઇન્ડિયાની જીત લગભગ પાક્કી કરી લીધી. શ્રીલંકાને જ્યારે છેલ્લી બે ઓવરમાં 29 રન બનાવવાના હતા, અને તેના હાથમાં માત્ર બે વિકેટો બચી હતી. 


19મી ઓવરમાં હર્ષલ પટેલે આપી દીધા 16 રન - 
મેચ પર પકડ મજબૂત કરી ચૂકેલી ભારતીય ટીમ માટે 19મી ઓવર મોંઘી સાબિત થઇ. અહીં હર્ષલ પટેલે નૉ-બૉલ પર ત્રણ રન આપ્યા અને વાઇડ પણ ફેંક્યો, કરુણારત્નેએ તેને જોરદાર છગ્ગો પણ ફટકાર્યો. કુલ મળીને હર્ષલે આ ઓવરમાં 16 રન આપીને શ્રીલંકાને મેચમાં વાપસી કરવાનો મોકો આપ્યો. 


છેલ્લા 3 બૉલ પર 5 રનની જરૂર - 
અક્ષર પટેલે આ ઓવરની શરૂઆત વાઇડથી કરી, આ પછી તેને આગળના બૉલ પર સિંગલ આપ્યો અને બીજો બૉલ ડૉટ કાઢ્યો. અક્ષરના ત્રીજા બૉલ પર કરુણારત્નેએ મીડવિકેટ પર છગ્ગો ફટકાર્યો, આ સાથે જ શ્રીલંકા માટે જીતના દરવાજા ખુલી ગયા. હવે શ્રીલંકાને છેલ્લા ત્રણ બૉલમાં 5 રનની જરૂર હતી. અહીં ચોથો બૉલ ડૉટ રહ્યો અને પાંચમા બૉલ પર અક્ષર પટેલે માત્ર 1 રન આપ્યો. શ્રીલંકન બેટ્સમેનોએ બીજો રન દોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાસુન રાજિતા આઉટ થઇ ગયો. હવે છેલ્લા બૉલ પર 4 રન જોઇતા હતા, અહીં પણ અક્ષરે માત્ર એક જ રન આપ્યો, બીજો રન દોડવાના ચક્કરમાં મધુશંકા રન આઉટ થઇ ગયો અને ભારતીય ટીમ 2 રનથી મેચ જીતી ગઇ.