ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ સાઉથમ્પટનમાં ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. એજબેસ્ટન ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ટી-20 સીરિઝની સારી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ટીમમાં વાપસી થઇ છે જ્યારે ઇગ્લેન્ડના ટી-20 અને વન-ડેના નવા કેપ્ટન જોસ બટલરની કેપ્ટન તરીકે આ પ્રથમ સીરિઝ રહેશે.


જોકે, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને રિષભ પંત સહિતના ક્રિકેટરો ઈંગ્લેન્ડ સામેની બીજી T20Iથી ટીમ સાથે જોડાશે. પ્રથમ T20માં મોટાભાગના ખેલાડીઓ એવા છે જેઓ આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં હતા. આવી સ્થિતિમાં રોહિત શર્મા માટે યોગ્ય પ્લેઇંગ-11 પસંદ કરવાનો પડકાર હશે.


ઘણા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન જેવા ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T20 વર્લ્ડ કપ ટીમમાં પોતાને સાબિત કરવાની વધુ એક તક મળશે.


 ભારતીય ટીમે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ સામે બે કે તેથી વધુ મેચોની ચાર T20I શ્રેણી રમી છે. તેમાંથી ટીમ ઈન્ડિયા એક પણ સિરીઝ હારી નથી. ત્રણમાં જીત અને એક સિરીઝ ટાઈ રહી હતી. ભારતે છેલ્લા છ વર્ષમાં ઈંગ્લેન્ડ સામે ત્રણ ટી20 શ્રેણી રમી છે, જેમાં તેણે તમામમાં જીત મેળવી છે.


રોહિતના પરત ફર્યા બાદ ગાયકવાડ ફરીથી બહાર બેસશે


ઈજાના કારણે ગાયકવાડ આયર્લેન્ડ સામેની બે મેચની શ્રેણીમાં ઈશાન કિશન સાથે ઈનિંગ્સની શરૂઆત કરી શક્યો ન હતો. જો રોહિતની વાપસીથી ફરીથી તેને ટીમની બહાર બેસવું  પડી શકે છે.


 દીપક હુડ્ડા પ્રદર્શન જાળવી રાખવા માંગશે


બીજી મેચથી કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરશે. આવી સ્થિતિમાં દીપક હુડ્ડા માટે ગુરુવારની મેચ મહત્વની બની રહેશે. તેણે આયર્લેન્ડ સામે સદી ફટકારી બધાને પ્રભાવિત કર્યા છે. આવી સ્થિતિમાં તે બીજી મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને પોતાની યોગ્યતા સાબિત કરવાનો પ્રયાસ કરશે.


રાહુલ ત્રિપાઠી અને અર્શદીપ સિંહ, જેઓ તેમના ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે, તેમને બીજી અને ત્રીજી T20I માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી, પરંતુ તેમને પ્રથમ મેચમાં રમવાની તક મળવાની શક્યતા ઓછી છે. ઈજામાંથી પરત ફરનાર સૂર્યકુમાર યાદવ આયર્લેન્ડ સામે લય મેળવી શક્યો ન હતો. જો કે, હુડ્ડા અને તેણે ડર્બીશાયર સામેની પ્રેક્ટિસ મેચમાં રન બનાવ્યા હતા.


ઉમરાન મલિક, ભુવનેશ્વર કુમાર અને હર્ષલ પટેલને ઈંગ્લેન્ડ જેવી ટીમને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. યુઝવેન્દ્ર ચહલને પ્લેઈંગ 11માં સ્થાન મળી શકે છે.


ઈંગ્લેન્ડ માટે બટલર યુગની શરૂઆત થશે


આ શ્રેણી ઈંગ્લેન્ડ માટે જોસ બટલરના યુગની શરૂઆત કરશે, જેને ઈયોન મોર્ગનની નિવૃત્તિ બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બેન સ્ટોક્સ અને જૉની બેયરસ્ટોને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.


બટલર અને લિયામ લિવિંગસ્ટોન શાનદાર ફોર્મમાં હતા. ભારતે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી T20I શ્રેણી 3-2થી જીતી હતી. આ પાંચ મેચની શ્રેણી 2020-21 ભારતમાં યોજાઈ હતી.


બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ટીમ ઇન્ડિયા


રોહિત શર્મા, ઇશાન કિશન, સંજૂ સૈમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, અવેશ ખાન


ઇગ્લેન્ડ


જોસ બટલર, જેસન રોય, ડેવિડ મલાન, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, સેમ કુરન,  ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, રીસ ટોપલી, ટાઇમલ મિલ્સ, મેથ્યૂ પાર્કિસન