England vs India: 3 વન ડે અને 3 ટી20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ટી20 સિરીઝની પહેલી મેચ ગુરુવારે 7 જુલાઈએ રમાશે. આ મેચ ધ રોઝ બાઉલ, સાઉથમ્પ્ટન (The Rose Bowl, Southampton) ખાતે ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 વાગ્યે શરુ થશે. રોહિત શર્માની (ROHIT SHARMA) કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા T20 સિરીઝ પોતાના નામ કરવા ભરપુર પ્રયત્ન કરશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં થયેલા મુકાબલાઓમાં (Head To Head) મેહમાન ટીમનું પલ્લું ભારે રહ્યું છે.


ભારતનું પલ્લું ભારેઃ
ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે અત્યાર સુધી 19 ટી20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 10 અને ઈંગ્લેન્ડે 9 મેચ જીતી છે. ભારતની બહાર બંને ટીમો વચ્ચે 6 T20 મેચ રમી છે જેમાંથી ભારતે 2 અને ઈંગ્લેન્ડે 4 મેચ જીતી છે. ભારતે ઈંગ્લેન્ડ સામે છેલ્લી ત્રણ દ્વિપક્ષીય ટી20 સિરીઝ જીતી છે. ભારતે 2017માં 2-1થી, 2018માં 2-1થી અને 2021માં 3-2થી સીરીઝ જીતી હતી.


વિરાટ કોહલીએ બનાવ્યા સૌથી વધુ રનઃ
બંને ટીમો વચ્ચે હેડ ટૂ હેડ આંકડાની વાત કરીએ તો, વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 577 તો જોસ બટલરે 373  અને ઈયોન મોર્ગને 347 રન બનાવ્યા છે. બંને ટીમો વચ્ચે થયેલી મેચોમાં રોહિત શર્મા (100*) અને કેએલ રાહુલે (101*) સદી ફટકારી હતી. યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 12 વિકેટ અને ક્રિસ જોર્ડને 10 વિકેટ ઝડપી છે. 


પિચ રિપોર્ટઃ
સાઉથમ્પ્ટનના ધ રોઝ બાઉલ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 9 ટી20 મેચો રમાઈ છે. આ 9 મેચોમાં પહેલાં બેટિંગ કરનારી ટીમે 5 અને બીજી બેટિંગ કરનારી ટીમોએ 4 મેચ જીતી છે. આ મેદાન ઉપર પહેલી ઈનિંગ દરમિયાન એવરેજ 168 રનનો સ્કોર અને બીજી ઈનિંગનો એવરેજ સ્કોર 143 રન રહ્યો છે. આ મેદાનની પીચ બેટિંગ માટે અનુકુળ છે. ટોસ જીતનાર ટીમનો કેપ્ટન પહેલાં બેટિંગનો નિર્ણય લઈ શકે છે. પહેલાં બેટિંગ કરતાં મોટો સ્કોર બનાવીને વિપક્ષી ટીમ ઉપર મોટો દબાવ બનાવી શકાય છે.