WTC 2023 Final IND vs AUS Kennington Oval, London:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ લંડનમાં રમાઈ રહી છે. ભારતે મેચના બીજા દિવસના અંત સુધી પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ઓલઆઉટ થતાં સુધીમાં 469 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં ભારતની બેટિંગ લાઇનઅપ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. હવે ટીમ ઈન્ડિયા પર ફોલોઓનનો ખતરો તોળાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાને ફોલોઓન બચાવવા માટે કુલ 269 રનની જરૂર છે. મહત્વની વાત એ છે કે, IPL 2023માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલી, શુભમન ગિલ અને રોહિત કંઈ ખાસ કરી શક્યા નથી.


 






ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 151 રન બનાવ્યા છે. પરંતુ 5 વિકેટ પણ ગુમાવી દીધી છે. આ કારણથી તેના પર ફોલોઓનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતને ફોલોઓન બચાવવા માટે 269 રનની જરૂર છે. તો હવે તેણે 118 રન બનાવવાના છે. ટીમ ઈન્ડિયાની આશા અજિંક્ય રહાણે અને શ્રીકર ભરત પર ટકેલી છે. રહાણે લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે. તેઓ ફોર્મમાં પણ છે. હવે માત્ર રહાણે અને ભરત જ ઈનિંગ્સને સંભાળી શકે છે. ભરતે ટીમ ઈન્ડિયા માટે 7 ટેસ્ટ ઈનિંગ્સ રમી છે. પરંતુ આ સમય દરમિયાન કંઈ ખાસ કરી શક્યો નથી. હવે તેની પાસે પણ પોતાને સાબિત કરવાની તક છે. આ પછી શાર્દુલ ઠાકુર બેટિંગમાં આવશે. ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયાથી 318 રન પાછળ છે.


ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવ બાદ ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 26 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. કમિન્સે તેને પેવેલિયન ભેગો કર્યો હતો. શુભમન 15 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ચેતેશ્વર પૂજારા પણ પેવેલિયન પરત ફર્યો હતો. અનુભવી બેટ્સમેન પૂજારાએ 25 બોલમાં 14 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી માત્ર 29 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રવિન્દ્ર જાડેજાએ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો. તેણે 51 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાના ટોપ બેટ્સમેન સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા. અજિંક્ય રહાણે બીજા દિવસની રમતના અંત સુધી 29 રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રીકર ભરત 5 રન બનાવીને અણનમ રહ્યો હતો.