નવી દિલ્હીઃ બીસીસીઆઈ દ્વારા ગઈકાલે રાત્રે ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ વન ડે, ટી-20 અને ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્માને ઇજાનું બહાનું બતાવી ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. ટી-20માં હાલ દુબઈમાં રમાઇ રહેલી IPL 2020માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી શાનદાર દેખાવ કરનારા સૂર્યકુમાર યાદવને પણ સ્થાન ન  મળતાં અનેક લોકોને આશ્ચર્ય થયું હતું.


સૂર્યકુમાર યાદવને ટી-20માં સ્થાન ન મળતાં હરભજન સિંહ ભડક્યો હતો અને તેણે ટ્વિટ કરી સિલેક્ટર્સને તેનો રેકોર્ડ ચેક કરવા જણાવ્યું હતું. ઉપરાંત  સિલેક્શન માટે અલગ લોકો માટે અલગ માપદંડ કેમ અપનાવવામાં આવે છે તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો.

હરભજને ટ્વિટ કરીને લખ્યું, મને સમજમાં નથી આવતું કે ટીમ ઈન્ડિયામાં સિલેકશન માટે સૂર્યકુમાર યાદવે વધુ શું કરવાની જરૂર છે. તે દરેક આઈપીએલ અને રણજી સીઝનમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. મને લાગે છે અલગ લોકો માટે અલગ નિયમ અપનાવવામાં આવે છે. હું તમામ સિલેક્ટર્સને તેનો રેકોર્ડ જોવાની વિનંતી કરું છું.



સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સારો દેખાવ કરી રહ્યો છે. તેણે ચાલુ સીઝનમાં 11 મેચમાં 283 રન બનાવ્યા છે અને તેની સરેરાશ પણ 31.44ની રહી છે. આ ઉપરાંત તે બે અડધી સદી પણ ફટકારી છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જાહેર થયેલી ભારતની T-20 ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર,મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચહર, વરુણ ચક્રવર્તી