Jasprit Bumrah India vs Australia: ભારતીય ક્રિકેટ ટીમ માટે આ દિવસોમાં એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાના કારણે ટીમની બહાર રહેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે સ્વસ્થ થઈ રહ્યો છે. તે રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે, જ્યાં તેણે બોલિંગ કરવાની શરૂઆત કરી દીધી છે.






મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 4 ટેસ્ટ અને 3 વનડે સીરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે.


ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી બે ટેસ્ટ રમે તેવી શક્યતા


બીસીસીઆઈએ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. બોર્ડે રોહિત શર્માને કેપ્ટન અને કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચથી ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે અને શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ મેચ રમી શકે છે.


નોંધનીય છે કે 29 વર્ષીય બુમરાહે પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પણ તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો પરંતુ તેણે તાજેતરમાં NCA ખાતે નેટ્સમાં બોલિંગ શરૂ કરી છે, જેના કારણે તે વાપસી કરે તેવી શક્યતા છે.


રોહિત શર્માએ પણ બુમરાહ વિશે અપડેટ આપ્યું હતું


હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, 'હું બુમરાહને લઈને વધુ ખાતરી આપી શકું નહી, પરંતુ મને આશા છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં રમશે. અમે કોઈ જોખમ લેવા માંગતા નથી કારણ કે પીઠની ઈજા હંમેશા ગંભીર હોય છે. અમે NCAના ફિઝિયો અને ડૉક્ટરોના નિયમિત સંપર્કમાં છીએ. મેડિકલ ટીમ તેને ફિટ થવા માટે પૂરો સમય આપશે.


ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર.અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.