અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલથી ચોથી અને અંતિમ ટેસ્ટ શરૂ થશે. ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં હાલ ભારત 2-1થી આગળ છે. અમદાવાદ નવનિર્મિત સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી અને ભારતનો 10 વિકેટથી વિજય થયો હતો. જે બાદ પીચની ક્વોલિટીને લઈ સવાલ ઉઠ્યા હતા. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા ચોથી ટેસ્ટ ડ્રો કરવી જરૂરી છે. જો ભારત હારશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પર અસર પડશે.


કેટલા વાગે શરૂ થશે મેચ

ભારતીય સમય મુજબ સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે. 9.00 કલાકે ટોસ થશે. ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિગ હોટસ્ટાર નેટવર્કથી જોઈ શકાશે.

બુમરાહની ગેરહાજરી

બુમરાહ નહીં રમવાના કારણે ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ સિરાજની વાપસીની સંભાવના વધી ગઈ છે. બુમરાહને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો ત્યારે સિરાજ પ્લેઇંગ ઇલેવનમાં હતો. ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં તેણે ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી હતી.

ઉમેશ યાદવ પણ ત્રીજી ટેસ્ટમાં રમી શકે છે. ઘરેલુ મેદાન પર તેનો શાનદાર દેખાવ છે. આ સિવાય જો હાર્દિક પંડ્યા 8 થી 10 ઓવરના સ્પેલ માટે તૈયાર હશે તો તેને પણ મોકો આપવામાં આવી શકે છે. હાર્દિક ટીમમાં આવવાથી બેટિંગ ઓર્ડર મજબૂત બનશે.

સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ/ઉમેશ યાદવ