રાંચીઃ  ભારતે ન્યૂઝીલેન્ડને વનડે શ્રેણીમાં ખરાબ રીતે હરાવ્યું હતું. તેણે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. તેની પ્રથમ મેચ શુક્રવારે રાંચીમાં રમાશે. આ મેચ રાંચીના સ્ટેડિયમમાં રમાશે. અહીં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર હજુ સુધી એક પણ T20 મેચ હારી નથી. તેણે અહીં એક મેચમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું હતું. હવે ફરી એકવાર ભારતીય ટીમ 27 જાન્યુઆરીએ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે.


જો આપણે રાંચીના JSCA સ્ટેડિયમમાં ભારતની T20 મેચોનો રેકોર્ડ જોઈએ તો તે સારો રહ્યો છે. ટીમ ઈન્ડિયા અહીં અત્યાર સુધી એક પણ T20 મેચ હારી નથી. તેણે 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ભારતે અહીં ફેબ્રુઆરી 2016માં શ્રીલંકાને 69 રનથી હરાવ્યું હતું. આ પછી ઓક્ટોબર 2017માં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2021માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. તેથી આ વખતે પણ ભારતીય ટીમ પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાંચીમાં અત્યાર સુધી માત્ર એક જ T20 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચ નવેમ્બર 2021માં રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 153 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. રોહિતે 36 બોલમાં 55 રન બનાવ્યા હતા.


નોંધપાત્ર વાત એ છે કે, ભારતે વન-ડે સીરિઝની પ્રથમ મેચ 12 રને અને બીજી મેચ 8 વિકેટે જીતી હતી. આ પછી શ્રેણીની છેલ્લી મેચ 90 રને જીતી હતી. હવે 27 જાન્યુઆરીએ T20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. આ પછી 29 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ મેચ  યોજાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં, બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનઉમાં જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે