નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં આવતીકાલે ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન ટકરાશે. જો ભારત પાકિસ્તાનને હરાવવામાં સફળ રહેશે તો સતત ત્રીજી વાર અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કરશે. બંન્ને ટીમો વર્લ્ડકપમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને અને પાકિસ્તાન અફઘાનિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યું છે. પાકિસ્તાની કેપ્ટન રોહેલ નઝીરે આ મેચને લઇને હાઇપ આપવાનો ઇનકાર કર્યો હતો.


પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ હુરૈરાએ અફઘાનિસ્તાન સામેની જીત બાદ કહ્યુ હતું કે, આ ખૂબ દબાણવાળી મેચ હશે અને જેને લઇને ખૂબ હાઇપ છે. અમે તેને સામાન્ય મેચની જેમ રમીશું અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું. આ મેચમાં ટીમ ઇન્ડિયાનું પલડુ ભારે છે. પ્રિયમ ગર્ગની કેપ્ટનશીપ હેઠળની ટીમે પાકિસ્તાન પર જીત મેળવવા પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ  પર બેટિંગનો મદાર રહેશે કારણ કે તેણે વર્લ્ડકપમાં ચાર મેચમાં ત્રણ અડધી સદી ફટકારી છે.

ઝડપી બોલર કાર્તિક ત્યાગીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અથર્વ અંકોલેકર અને ફોર્મમાં ચાલી રહેલા લેગ સ્પિનર રવિ બિન્શ્નોઇએ સાત વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી જેના કારણે ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી છે. પાકિસ્તાની ઝડપી બોલર અબ્બાસ અફરીદી, મોહમ્મદ આમિર ખાન અને તાહિર હુસૈનને રમવું ભારતીય બેટ્સમેનો માટે સરળ નહી હોય.