Deepak Chahar: ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દીપક ચહરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. આ અંગે લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. લોકોએ પૂછ્યું હતું કે દીપક શાનદાર ફોર્મમાં છે ત્યારે તેની જગ્યાએ અવેશ ખાનને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો. તે સમયે આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, પરંતુ હવે તેનાથી સંબંધિત એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.


પીટીઆઈના જણાવ્યા અનુસાર, દીપકને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે અને તેથી જ તે પ્રથમ વનડે મેચ રમી શક્યો નથી. તેને પગની ઘૂંટીમાં ખેંચાણ છે અને તેની ઈજાની ગંભીરતા હાલમાં જાણી શકાયું નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે તે સિરીઝની બીજી મેચમાં રમી શકશે કે નહીં. જો દીપકની ઈજા ગંભીર બની જાય છે, તો તે તેના માટે તેમજ ભારતીય ટીમ માટે ખૂબ જ નિરાશાજનક સમાચાર હશે કારણ કે તેને સ્ટેન્ડબાય તરીકે T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


ભારતીય ટીમ પહેલાથી જ ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાથી પરેશાન છે અને તે બિલકુલ ઈચ્છશે નહીં કે કોઈ અન્ય ખેલાડી ઈજાગ્રસ્ત થયાના સમાચાર તેમને મળે. અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે બુમરાહની જગ્યાએ સ્ટેન્ડબાય પર રહેલા મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવશે. દીપક ચહરની લયને જોતા તેના નામ પર પણ વિચાર કરી શકાય. 


સૌરવ ગાંગુલી નહીં હવે આ ખેલાડી બનશે BCCIનો આગામી અધ્યક્ષ 


BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ) સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે. નવા બોર્ડ પ્રેસિડેન્ટને લઈને ટૂંક સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે અને વર્તમાન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની વિદાઈ થઈ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંગુલી 18 ઓક્ટોબરે યોજાનારી BCCIની ચૂંટણીમાં ભાગ નહીં લે. કારણ કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ પદ માટે તેમનું નામ જાહેર થવા જઈ રહ્યું છે. ગાંગુલી ICC અધ્યક્ષ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. ICCના અધ્યક્ષ પદ માટે પણ આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે.