કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ વન-ડે રમાશે. કોરોના વાયરસ મહામારી વચ્ચે પ્રથમવાર શિખર ધવન ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે. એટલું જ નહી નેશનલ ટીમના કોચના રૂપમાં ભારતના પૂર્વ મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડની પણ આ પ્રથમ વન-ડે હશે. પ્રેમદાસા સ્ટેડિયમમાં એ ખેલાડીઓ પર લોકોની નજર રહેશે જેમણે છેલ્લા અનેક વર્ષોથી આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.


આ વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં ટી-20 વર્લ્ડકપ અગાઉ આ ભારતની અંતિમ ટી-20 સીરિઝ છે. ભારત હવે વર્લ્ડકપમાં નવા ચહેરાઓની  પસંદગી કરી શકશે નહી કારણ કે આગામી વર્લ્ડકપ માટે ભારતીય ટીમ લગભગ નક્કી થઇ ચૂકી છે. રાહુલ દ્રવિડ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમિના ડિરેક્ટર છે અને તેઓને યુવાઓને તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમણે વિદેશી પ્રવાસો પર એ ટીમના હિસ્સાના રૂપમાં શ્રીલંકામાં અનેક ખેલાડીઓ સાથે પ્રવાસ કર્યો છે.


ભારત માટે હાર્દિક પંડ્યા એક બોલરના રૂપમાં કેવું પ્રદર્શન કરશે તે જરૂરી છે. તે તાજેતરમાં જ ઇજાથી બહાર આવ્યો છે. ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યાની બોલિંગ ભારત માટે મહત્વની સાબિત થઇ શકે છે. ટીમ ઈન્ડિયા તેના પ્રમુખ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, જાડેજા અને જસપ્રીત બુમરાહ વગર રમી રહી છે. જ્યારે શ્રીલંકાની ટીમ પણ તેના ટોચના ખેલાડીઓ કુસલ પરેરા, નિરોશન ડિકવેલા, કુલસ મેંડિસ અને દનુષ્કા ગુણાથિલકા વગર ઉતરી રહી છે. બંને ટીમો પાસે ટી-20 વર્લ્ડકપ પહેલા મર્યાદીત ઓવરના ક્રિકેટમાં ખેલાડીઓની ક્ષમતા પારખવાનો સોનેરી મોકો છે.


 


કઈ ચેનલ પરથી ટેલિકાસ્ટ થશે મેચ


સોની સ્પોર્ટ્સ ટૂ પરથી ભારત-શ્રીલંકા વન ડે સીરિઝનું પ્રસારણ થશે. સોની ટેન -2 અને સોની ટેન-2 એચડી પરથી પણ મેચ નીહાળી શકાશે. મેચનું લાઈવ સ્ટ્રિમિંગ સોની લિવ એપ પરથી જોઈ શકાશે


 


કેટલા વાગે શરૂ થશે મેચ


ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે મેચ 18 જુલાઈના રરોજ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.


 


ભારતીય ટીમઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડ્ડિકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઈશાન કિશન (વિકેટ કિપર), સંજુ સેમસન (વિકેટકિપર), યુઝવેંદ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા