ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી જ પર અનુભવી ટીમની મદદથી હરાવીને વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે રાતો રાત હીરો બની ગયો છે. એવામાં હવે સવાલ ઉઠી રહ્યા છે કે રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણેને જ કેપ્ટન કેમ ન બનાવી દેવામાં આવે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન લીનું માનવું છે કે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમના ખેલાડી ડર્યા ડર્યા જોવા મળે છે. રહાણે ભારતની કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.


શેન લીએ એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, ‘વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક છે પરંતુ વિરાટ કોહીલની કેપ્ટનશિપમાં ખેલાડી ડર્યા ડર્યા રહે છે. વિરાટ કોહલી ખૂબ જ પ્રોફેશનલ વાતાવરણ ઇચ્છે છે. બધા ખેલાડીઓએ ફિટ રહેવું જરૂરી હોય છે, ફીલ્ડિંગમાં સારું પ્રદર્શન કરવાનું હોય છે, ખેલાડી થોડા ડરેલા હોય છે. મેં રહાણેની કેપ્ટનશિપમાં ખેલાડીઓને દબાણમુક્ત જોયા છે.’

શેન લી ઓસ્ટ્રેલિયા માટે 45 વનડે મેચ રમી ચૂક્યા છે. તેણે કહ્યું કે, તમે કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેને જુઓ. હું તેને 10માંથી 10 પોઈન્ટ આપીશ. તેઓ શાનદાર રહ્યા છે. તેમણે સારી રીતે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. હું રહાણેને જ ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદ કરીશ.

નોંધનીય છે કે, કોહલી પત્નીની પ્રેગ્નેન્સીને કારણે એડિલેડ ટેસ્ટમાં ભારતની શરમજનક હાર બાદ પરત ભારત ફર્યા હતા. ત્યાર બાદ રહાણેની કેપ્ટનશિપમાં ભારતે ટેસ્ટ સીરીઝ 2-1થી જીતી લીધી હતી.