Indian Team, World Cup 2023: આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023 નજીક છે, અને ઈજાગ્રસ્ત ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહ્યા છે. આ વખતે વનડે વર્લ્ડકપ 2023 ભારતમાં રમાવાનો છે. આવામાં ટીમ પર ટૂર્નામેન્ટ જીતવાનું દબાણ વધુ રહેશે. પરંતુ વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ સામે પણ એક મોટી સમસ્યા સામે આવી છે, જે સમસ્યા ભારતીય ટીમને વર્ષ 2019માં કેપ્ટન કોહલીને નડી હતી તે જ સમસ્યા હવે કેપ્ટન રોહિત માટે પણ મોટો પ્રશ્ન બની ગઇ છે. આ સમસ્યા છે નંબર ચાર પર બેટિંગ પૉઝિશન, ટીમ ઇન્ડિયામાં ચોથા નંબરની સમસ્યા હજુ પણ ઉભી છે. વર્લ્ડકપમાં ચોથા નંબર પર રહેલી ભારતીય ટીમ માટે કોણ રમશે તે અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી.


અગાઉ 2019 માં રમાયેલા વનડે વર્લ્ડકપ કેએલ રાહુલ અને ડાબોડી ઋષભ પંત ભારત માટે ચોથા નંબર પર રમ્યા હતા, જોકે કેટલીક મેચોમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ આ જવાબદારી સંભાળી ચૂક્યા હતો, પરંતુ અત્યારે કેએલ રાહુલ અને ઋષભ પંત બંને ઇજાઓને કારણે ટીમની બહાર છે અને તેમની વાપસી વિશે હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત મીડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ આ નંબર પર રમી શકે છે, પરંતુ તે પણ પોતાની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.


જોકે કેએલ રાહુલે નેટમાં બેટિંગ શરૂ કરી દીધી છે, પરંતુ તેની વાપસી અંગે કંઈ સ્પષ્ટ થયું નથી, આ ઉપરાંત ઋષભ પંત વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની માટે વર્લ્ડકપમાં વાપસી કરવી મુશ્કેલ છે. બીજી તરફ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ તમામ ટીમોને 5 સપ્ટેમ્બર સુધીમાં તેમની વર્લ્ડકપ ટીમો સબમિટ કરવા કહ્યું છે. આવામાં પંતની વાપસી અસંભવ દેખાઈ રહી છે.


ઉલ્લેખનીય છે કે, શ્રેયસ અય્યર વિશે પણ ઓફિશિયલ રીતે કંઈપણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ અય્યર આયર્લેન્ડ સામે રમાનારી ટી-20 સીરીઝ દ્વારા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા સાથે ચોથા નંબર માટે કયા ખેલાડીઓ ઉપલબ્ધ છે અને ટીમ કયા ખેલાડી સાથે જાય છે.