IPL 2020: દિલ્હી કેપિટલ્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020માં મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બોલર ઈશાંત શર્મા ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈશાંત આ સીઝનમાં દિલ્હી તરફથી માત્ર એક જ મેચ રમ્યો હતો. ઈશાંત શર્મા લેગ સ્પિનર અમિત મિશ્રા બાદ આઈપીએલ 2020ની સીઝનમાંથી બહાર થનારો દિલ્હીનો બીજો ખેલાડી છે.


ઈશાંતે અબુધાબીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 4 ઓવરમાં 26 રન આપ્યા હતા પરંતુ કોઈ વિકેટ ઝડપી શક્યો નહોતો. દિલ્હી કેપિટલ્સ નિવેદનમાં કહ્યું, ફાસ્ટ બોલર ઈશાંત શર્માને સાત ઓક્ટોબરે દુબઈમાં ટીમ ટ્રેનિંગ દરમિયાન બોલિંગ કરતી વખતે પાંસળીમાં ઈજા થઈ હતી. જેની તપાસમા જાણવા મળ્યું કે, માંસપેશી ખેંચાઈ ગઈ છે. દુર્ભાગ્યથી આ ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે.



દિલ્હી કેપિટલ્સની ટીમ ચાલુ સીઝનમાં શાનદાર દેખાવ કરી રહી છે. દિલ્હીએ અત્યાર સુધીમાં 7 મેચ રમી છે. જેમાંથી 5માં જીત મળી છે અને 2માં હાર થઈ છે. દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે.

ઈશાંત શર્મા ભારત તરફથી 97 ટેસ્ટ, 80 વન ડે અને 14 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. જેમાં અનુક્રમે 297 વિકેટસ 115 વિકેટ અને 8 વિકેટ ઝડપી છે. 2008થી લઈને અત્યાર સુધીની 90 આઈપીએલ મેચમાં ઈશાંતને 71 સફળતા મળી છે.