Indian Premier League 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને છેલ્લી લીગ મેચ બાદ બેન સ્ટોક્સના રૂપમાં મોટો ફટકો પડશે. CSK માટે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી લીગ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ અને એશિઝ શ્રેણીની તૈયારી માટે બેન સ્ટોક્સને સ્વદેશ પરત ફરવું પડશે.


બેન સ્ટોક્સ આ સિઝનમાં માત્ર 2 મેચ રમ્યો છે. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, 20 મેના રોજ CSK અને દિલ્હી વચ્ચેની મેચ બાદ બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ જવા રવાના થશે. જો ચેન્નાઈ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરે છે તો ટીમ પાસે પસંદગી માટે બેન સ્ટોક્સ ઉપલબ્ધ રહેશે નહીં.


આઈપીએલમાં રમવા આવતા પહેલા જ બેન સ્ટોક્સે એશિઝની તૈયારીને લઈને આઈપીએલમાંથી વહેલા પરત ફરવાનું નિવેદન આપ્યું હતું. ઈંગ્લેન્ડને 1 જૂનથી આયર્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચને ઈંગ્લેન્ડની એશિઝ પહેલા તૈયારીઓના દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં આ બંને શ્રેણી માટે ટીમની જાહેરાત કરી શકે છે.


બેન સ્ટોક્સને CSKએ 16.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો


ચેન્નાઈએ આ સિઝન માટે આઈપીએલની હરાજી દરમિયાન બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સ્ટોક્સને જે બે મેચમાં રમવાની તક મળી તેમાં તેણે બેટથી 7 અને 8 રન બનાવ્યા. આ સિવાય તેણે એકમાત્ર ઓવરમાં 18 રન ખર્ચ્યા હતા. બેન સ્ટોક્સ ઘૂંટણની સમસ્યાને કારણે 2 મેચ બાદ પ્લેઈંગ 11માંથી બહાર  થયો હતો. જો કે સંપૂર્ણ ફિટ થયા બાદ પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. 


મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર રમત બતાવી છે. ચેન્નાઈએ 13માંથી 7 મેચ જીતી છે અને 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો કે, હવે પ્લેઓફમાં પોતાનું સ્થાન સંપૂર્ણપણે સુરક્ષિત કરવા માટે ચેન્નાઈ માટે દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી લીગ મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.


જો ચેન્નાઈની ટીમ દિલ્હી સામેની મેચમાં હારી જશે તો તેની ટોપ-4માંથી બહાર થવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જશે. આવી સ્થિતિમાં ચેન્નાઈએ અન્ય ટીમો વચ્ચે રમાયેલી મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.