IPL 2024, Suryakumar Yadav: સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. આવી સ્થિતિમાં તે વધુ મેચ રમી શકશે નહીં. ચોક્કસ આ સમાચાર સુકાની હાર્દિક પંડ્યાનું ટેન્શન વધારશે, કારણ કે અત્યાર સુધી મુંબઈ આ સિઝનમાં જીતનું ખાતું ખોલાવી શક્યું નથી. મુંબઈને IPL 2024ની તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્સ હર્નિયા સર્જરીમાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી અને IPLની વધુ કેટલીક મેચો રમી શકશે નહીં. જોકે, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તેની રિકવરી પર નજર રાખી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો સૂર્યકુમાર વર્તમાન સિઝનમાં અત્યાર સુધી કોઈ મેચ રમી શક્યો નથી અને તેની ટીમને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સને સૂર્યકુમારની ખોટ ચાલી રહી છે
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના એક સૂત્રએ જણાવ્યું હતું કે, સૂર્યકુમાર ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પુનરાગમન કરશે. જો કે, પ્રથમ બે મેચમાં ન રમ્યા બાદ તેણે વધુ કેટલીક મેચોમાંથી બહાર રહેવું પડી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સને સૂર્યકુમારની ખોટ ચાલી રહી છે, પરંતુ બીસીસીઆઈ આ આક્રમક બેટ્સમેનની ફિટનેસને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી, કારણ કે તે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં મોટી ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. સૂત્રએ કહ્યું, બીસીસીઆઈ માટે મુખ્ય ચિંતા એ છે કે શું તે T20 વર્લ્ડ કપમાં રમવાના ટ્રેક પર છે કે નહીં અને તે તે સ્થિતિમાં છે.
મેદાનની ચારેબાજુ શોટ રમવાની તેની ક્ષમતા માટે, 33 વર્ષીય સૂર્યકુમારની તુલના દક્ષિણ આફ્રિકાના નિવૃત્ત બેટ્સમેન એબી ડી વિલિયર્સ સાથે કરવામાં આવે છે. તેણે આ ફોર્મેટમાં 171.55ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. સૂર્યકુમારે 60 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ચાર સદીની મદદથી ભારત માટે 2141 રન બનાવ્યા છે.