IPL 2025 Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન ઘણી રોમાંચક રહેવાની છે. આ વખતે ઘણા ખેલાડીઓ પોતાની ટીમમાંથી અન્ય ટીમમાં જવાના છે. વાસ્તવમાં આ વખતે મેગા હરાજી યોજાવાની છે. આવી સ્થિતિમાં, તમામ ટીમોને માત્ર ચાર-ચાર ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે, બાકીના તમામ ખેલાડીઓને રીલિઝ કરવા પડશે. જો કે, મેગા ઓક્શન પહેલા પણ કેટલાક ખેલાડીઓ એક ટીમમાંથી બીજી ટીમમાં જઈ શકે છે. નિયમો અનુસાર, ટીમો હરાજી પહેલા ખેલાડીઓને ટ્રેડ કરી શકે છે. દરમિયાન IPL 2025ની હરાજી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે.


રિપોર્ટ અનુસાર કેએલ રાહુલ અને ઋષભ પંત પોતપોતાની ટીમ છોડી શકે છે. એટલે કે રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સ છોડી દેશે અને પંત દિલ્હી કેપિટલ્સ છોડી દેશે. એવા સમાચાર છે કે કેએલ રાહુલ લખનઉ છોડીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પરત ફરી શકે છે. રાહુલ આ પહેલા પણ RCB તરફથી રમી ચૂક્યો છે.


મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મુંબઈ ઈન્ડિયન્સને પણ આગામી હરાજી પહેલા મોટો ઝટકો લાગી શકે છે. મુંબઈના ત્રણ મેચ વિનર ખેલાડીઓ ટીમ છોડી શકે છે. જેમાં પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને નંબર વન ટી20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટીમ છોડી શકે છે.


પંત ચેન્નઈ સાથે જોડાઈ શકે છે


દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હોવાના સમાચાર છે. જોકે, અત્યાર સુધી ફ્રેન્ચાઈઝી કે આ વિકેટકીપર બેટ્સમેને આ અંગે કંઈ કહ્યું નથી. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નઈ સુપર કિંગ્સ ટ્રેડ મારફતે ઋષભ પંતને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. એ જ રીતે કેએલ રાહુલ આરસીબીમાં વાપસી કરી શકે છે. એવા સમાચાર છે કે ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરા પણ ટીમ છોડી શકે છે.


રાહુલ દ્રવિડને પણ ટી-20 વર્લ્ડકપ 2024માં ભારતને શાનદાર જીત અપાવવા માટે ઘણો શ્રેય મળ્યો હતો. તેમને દેશ તરફથી ઘણો પ્રેમ પણ મળ્યો. ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો તેમનો કાર્યકાળ પૂરો થયો ત્યારથી, તેમને ઘણી IPL ફ્રેન્ચાઇઝી સાથે જોડવામાં આવી રહ્યા છે. આ અગાઉ એવા સમાચાર હતા કે રાહુલ દ્રવિડ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે જોડાઈ શકે છે, ખાસ કરીને કારણ કે આ ટીમના મેન્ટર ગૌતમ ગંભીરે દ્રવિડની જગ્યાએ ભારતીય ટીમના મુખ્ય કોચની જવાબદારી લીધી છે. પરંતુ, હવે સમાચાર આવ્યા છે કે દ્રવિડ તેની પૂર્વ IPL ટીમ રાજસ્થાન રોયલ્સમાં જોડાઈ શકે છે.