દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા જમ્મુ અને કાશ્મીરના પ્રથમ ક્રિકેટર પરવેઝ રસૂલે રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે સતત પ્રદર્શન અને અસંખ્ય સિદ્ધિઓથી ભરપૂર 17 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત આવ્યો છે. પરવેઝે 2014માં ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને 2017માં ભારત માટે પોતાની પહેલી ટી-20 મેચ રમી હતી.
જમ્મુ કાશ્મીરમાં યુવા ક્રિકેટરો માટે આશાનું કિરણ બનેલા દક્ષિણ કાશ્મીરના બિજબેહરાનો 36 વર્ષીય ઓલરાઉન્ડર જેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને પોતાના નિર્ણયની જાણ કરી છે. રસૂલે એક વન-ડે અને એક ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે પુણે વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પણ રમ્યો છે.
પરવેઝ રસૂલે પત્રકારોને જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટની વિકાસ ગાથાનો હિસ્સો બનવા પર ગર્વ છે. વર્ષોથી રસૂલે પોતાને એક વિશ્વસનીય ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કર્યો છે, તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 5,648 રન બનાવ્યા છે અને 352 વિકેટ લીધી છે. ઘરેલુ ક્રિકેટમાં તેમના સતત પ્રદર્શનને કારણે તેમને 2013-14 અને 2017-18માં બે વાર રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે પ્રતિષ્ઠિત લાલા અમરનાથ એવોર્ડ મળ્યો હતો. 2012-13 સીઝનમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે રાષ્ટ્રીય ટીમ અને IPLમાં તેમના પ્રવેશનો માર્ગ મોકળો થયો હતો.
પરવેઝ રસૂલે ભારત માટે એક વન-ડે મેચ રમી, જેમાં બે વિકેટ લીધી. તેમણે બેટિંગ કરી ન હતી. તેમણે દેશ માટે એક T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી, જેમાં એક વિકેટ લીધી અને પાંચ રન બનાવ્યા હતા. તેમણે IPLમાં 11 મેચ પણ રમી, જેમાં 17 રન બનાવ્યા અને ચાર વિકેટ લીધી હતી. પરવેઝે બાંગ્લાદેશ સામે વન-ડે અને ઇંગ્લેન્ડ સામે ટી-20 મેચ રમી હતી.
પરવેઝ રસૂલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો કરાર મેળવનાર પ્રથમ કાશ્મીરી ક્રિકેટર હતા. તેમણે IPL માં પુણે વોરિયર્સ ઇન્ડિયા (PWI), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પ્રતિનિધિત્વ કર્યું. 11 IPL મેચોમાં તેમણે 67.75 ની સરેરાશથી ચાર વિકેટ લીધી અને 17 રન બનાવ્યા હતા.
પરવેઝ રસૂલે કહ્યું કે તેઓ ખુશ છે કે જમ્મુ અને કાશ્મીર ટીમ વધુ મજબૂત બની છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ બે વાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ગયા વર્ષે, જમ્મુ અને કાશ્મીર સેમિફાઇનલમાં પહોંચ્યું. જોકે, તેમને ભારત માટે ટેસ્ટ ક્રિકેટ ન રમી શકવાનો અફસોસ છે.
ટેસ્ટ ક્રિકેટ ન રમી શકવાનો અફસોસ
પરવેઝ રસૂલ કહે છે, "મને ટેસ્ટ ક્રિકેટ ન રમી શકવાનો અફસોસ છે. ખાસ કરીને જ્યારે મેં 2013માં બોર્ડ પ્રેસિડેન્ટ XI માટે ઓસ્ટ્રેલિયા સામે 45 રન આપીને 7 વિકેટ લીધી હતી. તે મારું ભાગ્ય હતું." મેં ખૂબ મહેનત કરી અને ભગવાનનો આભાર, જમ્મુ અને કાશ્મીર માટે મારો રેકોર્ડ શાનદાર રહ્યો." પરવેઝ હવે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે અને કોચિંગ કારકિર્દી તરફ આગળ વધી રહ્યો છે. તે ભવિષ્યમાં નવા ખેલાડીઓને તૈયાર કરવામાં પોતાના અનુભવનો ઉપયોગ કરવાની આશા રાખે છે.