Jasprit Bumrah Ruled Out: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2023 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થઈ ગઈ છે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાઈ રહી છે. BCCIએ આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પ્રથમ બે ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ હવે તે સમગ્ર સીરીઝમાંથી બહાર થઈ ગયો છે.


લાંબા સમયથી મેદાનની બહાર રહેલો જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ શ્રેણીની છેલ્લી 2 ટેસ્ટ મેચો માટે સંપૂર્ણ રીતે ફિટ થવાની આશા હતી, પરંતુ હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તે પૂરી ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ વર્ષના અંતમાં રમાનારી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બુમરાહને મેદાનમાં રમાડવાની ઉતાવળમાં નથી. બીજી તરફ, આ ટેસ્ટ સીરીઝમાં સ્પિન બોલરો પર વધુ નિર્ભર હોવાને કારણે  બુમરાહની કમી ટીમને નહીં પડે જેના કારણે તેને સંપૂર્ણ રીતે ફિટ થવા માટે વધુ સમય મળશે.


તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2022થી જસપ્રીત બુમરાહ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પોતાની ફિટનેસ પર સતત કામ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા પછી, ટીમને 17 માર્ચથી 3 મેચની વનડે સીરીઝ પણ રમવાની છે, જેના માટે હજુ સ્પષ્ટ નથી કે જસપ્રીત બુમરાહ તેમાં રમતા જોવા મળશે કે નહીં.


જસપ્રીત બુમરાહ પીઠની ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો


ભારતીય ટીમનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આ વખતે પીઠની સમસ્યાને કારણે લાંબા સમયથી મેદાનની બહાર હતો. વર્ષ 2022 માં સપ્ટેમ્બરમાં બુમરાહ તે સમયે 2 મહિના માટે પ્રથમ ક્રિકેટ મેદાનની બહાર રહ્યો  હતો. આ પછી બુમરાહને જાન્યુઆરી 2023માં શ્રીલંકા સામે રમાયેલી ODI સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે તે રમી શક્યો ન હતો. 


IND vs AUS Day 2 Highlights: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવો રહ્યો બીજો દિવસ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ યજમાન ટીમ ઈન્ડિયાના નામે રહ્યો હતો. બીજા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારીને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા.  જ્યારે દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ વચ્ચે 8મી વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે ભારતીય ટીમ આ ટેસ્ટમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 7 વિકેટના નુકસાન પર 321 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા 66 અને અક્ષર પટેલ 52 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારતીય ટીમે પ્રથમ દાવના આધારે 144 રનની લીડ મેળવી લીધી છે.