અમદાવાદ: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ્સ અને 25 રનથી શાનદાર જીત મેળવી હતી. તેની સાથે ભારતે 3-1થી સીરિઝ પર કબ્જો કરી લીધો હતો. આ જીત સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ પહોંચી ગયું છે.


ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સાથે ટકરાશે. લોર્ડ્સમાં 18 થી 22  જૂન દરમિયાન આ મહામુકાબલો રમાશે. જેના પર હવે ક્રિકેટ વિશ્વની નજર છે. કારણકે તેમાં જીતનારી ટીમ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ટીમ બનશે.

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત 72.2 ટકા અને 520 અંક સાથે ટોચ પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડ 70 ટકા અને 420 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે. જ્યારે 69.2 ટકા અને 332 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાએ મહામારીના કારણે સાઉથ આફ્રિકા પ્રવાસ સ્થગિત કર્યો હતો. જેનો ફાયદો ન્યૂઝીલેન્ડને મળ્યો હતો.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિશે વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ 12 અને ન્યુઝીલેન્ડે 7 મેચ જીતી હતી. ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં ન્યુઝીલેન્ડે ભારતને 2-0થી હરાવ્યું હતું. આ સ્થિતિમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના સામે ટેસ્ટ સીરિઝમાં મળેલી હારનો હિસાબ પણ સરભર કરવા માંગશે.

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનારી ટીમને 1 મિલિયન અમેરિકન ડોલર (આશે 7,31,80,900 રૂપિયા)ની રકમ મળશે. આ ઉપરાંત ટ્રોફી પણ આપવામાં આવશે. ટીમ ઈન્ડિયા 10 મી વખત આઇસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયા ત્રણ વખત વન ડે વર્લ્ડ કપ, બે વખત ટ્વેન્ટી 20 વર્લ્ડ કપ, ચાર વખત ચેમ્પિયન્સ ટ્રોફી અને હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી છે. ટીમે બે વખત વર્લ્ડ કપ, બે વાર ચેમ્પિયન્સ ટ્રોફી અને એક વખત ટી -20 વર્લ્ડ કપ જીત્યો છે.