નવી દિલ્હીઃ મહાન ક્રિકેટર કપિલ દેવની છાતીમાં દુઃખાવો થતાં તરત જ તેને દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ્સ (ઓખલા) હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. હવે હૉસ્પીટલે કપિલ દેવને લઇને હેલ્થ એક નિવેદન આપ્યુ છે, તેમાં કહેવાયુ છે કે કપિલ દેવની સ્થિતિ બરાબર છે, અને આગામી થોડાક દિવસોમાં હૉસ્પીટલમાંથી રજા આપવામાં આવશે.


ફોર્ટિસે કહ્યું- ક્રિકેટર કપિલ દેવને 23 ઓક્ટોબરે રાત્રે 10 વાગે ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ (ઓખલા રોડ) લાવવામાં આવ્યા, તેમને છાતીમાં દુઃખાવો થઇ રહ્યો હતો, રાત્રે જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હૉસ્પીટલે કહ્યું- હાલ તે આઇઇસીયુમાં ભરતી છે, અને ડૉ. અતુલ માથુર અને તેમની ટીમ નજરા રાખી રહી છે, કપિલ દેવ હવે સ્થિર છે, અને તેમને થોડાક દિવસોમાં રજા મળવાની આશા છે.


જેવા જ કપિલ દેવ વિશે આ સમાચાર આવ્યા, સોશિયલ મીડિયા પર તેના ઝડપથી સાજા થવાની પ્રાર્થના થવા લાગી છે. ભારતને પોતાની કેપ્ટનશિપમાં પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવની ગણના વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરમાં થાય છે.


સોશિયલ મીડિયા પર પોતાના પ્રત્યે લોકોના પ્રેમ જોઈને કપિલ દેવથી પણ રહેવાયું નહીં અને તેમણે ખુદ ટ્વીટ કરીને ફેન્સને પોતાના સ્વસ્થ્ય હોવાની જાણકારી આપી. તેમણે લખ્યું કે, “બધાનો પ્રેમ અને ચિંતા કરવા બદલ આભાર. તમારી શુભકામનાઓથી અભિભૂત છું. હું સ્વસ્થ થઈ રહ્યો છું.”

ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર જગતના શાનદાર ઓલરાઉન્ડરોમાંથી એક એવા કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

કપિલ દેવે પોતાના આંતરરાષ્ટ્રી કારકિર્દીમાં 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 5248 રન અને 434 વિકેટ છે. વનડે ઇન્ટરનેશનલ કારકિર્દીમાં તેણે 3783 રન બનાવવાની સાથે 253 વિકેટ લીધી હતી. તેમમએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટ ઇન્ડિઝની સામે ફરીદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.