નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃતિને લઈ છેલ્લા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. વર્લ્ડકપ 2019ની સેમિફાઈનલ રમ્યા બાદ ધોની કોઈ એક પણ મેચ રમ્યો નથી. એવામાં ધોનીના ફેન્સને અપેક્ષા હતી તે આઈપીએલની 13મી સીઝનમાં વાપસી કરી ફરી મોટી મોટી સિક્સર ફટકારતો જોવા મળશે પરંતુ કોરોના વાયરસના કારણે આઈપીએલ જ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. ફેન્સને ઘણી આશા હતી કે લાંબા સમય બાદ ધોનીને મેદાન પર જોવા મળશે પરંતુ કોરોના કારણે ટ્રેનિંગ સેશન છોડી પરત રાંચી જવું પડ્યું હતું.


તેની વચ્ચે ધોનીને લઈ પૂર્વ ક્રિકેટર્સ અને ફેન્સનું માનવું છે કે ધોની માટે આઈપીએલ જ એક એવું પ્લેટફોર્મ હતું જે ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં વાપસીની કરાવી શકતું હતું. પરંતુ હવે લોકડાઉનના કારણે આઈપીએલ રદ થઈ શકે છે અને ધોની હવે ભાગ્યેજ મેદાન પર જોવા મળે. પરંતુ કેટલાક ક્રિકેટરોનું માનવું છે કે ધોની વાપસી કરી શકે છે. તેની વચ્ચે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈનનું માનવું છે કે, ધોનીમાં હજુ ઘણુ ટેલેન્ટ છે અને તેના પર નિવૃતિ માટે દબાણ બનાવવું જોઈએ નહીં

નાસિર હુસૈને કહ્યું કે, ધોનીને રિટાયરમેન્ટ માટે મજબૂર ન કરવામાં આવે, કારણ કે તે એક વખત જતો રહેશે તો ફરી પરત નહીં આવે. હુસૈને એક ચેનલના શો દરમિયાન કહ્યું કે, શું ધોની હજુ પણ ટીમમાં આવવા માટે સક્ષમ છે ? આ સવાલ તમામ ખેલાડીઓ પર લાગુ પડે છે. મેં ધોનીને જોયો છે. મને હજુ પણ લાગે છે કે તેમની પાસે ભારતીય ક્રિકેટ ટીમને આપવા માટે ઘણું છે.

હુસૈને કહ્યું, એક બે એવી ક્ષણ હતી કે જ્યારે તે લક્ષ્યાંકનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જેવી રીતે વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલ મેચમાં થયું. પણ તેમની પાસે હજુ પ્રતિભા છે. હુસૈને વધુમાં કહ્યું, તમે જે ઈચ્છો છો તેનાથી સાવધાન રહો કારણ કે ધોની એક વખત ચાલ્યો ગયો તો પાછો નહીં આવે.