નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝનમાં ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સ હવે આગામી વર્ષ મોટા ફેરફારો કરવાનુ વિચારી રહી છે. ટીમમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવા જુના ચહેરાઓને બાજુ પર રાખવાનો વિચાર કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે મુંબઇ 2021ની આઇપીએલમાં ત્રણ સ્ટાર ખેલાડીઓને છુટા કરી શકે છે. કૉચ જયવર્ધનેએ પણ કહ્યું કે, ટીમ આગામી વર્ષમાં સ્કાઉટિંગના કારણે ટ્રેડિંગ વિન્ડો પર ધ્યાન આપશે.


વિનિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનુ મેનેજમેન્ટ વિચારી રહ્યું છે કે ટીમમાં વધુ સમય માટે યુવાઓને તક આપવી જોઇએ. ખાસ કરીને સ્ક્વૉડમાં મોટા ફેરફાર કરવામાં આવશે. મેનેજમેન્ટનુ કહેવુ છે કે તે ત્રણ સ્ટાર ખેલાડીઓને છુટા કરશે.

રિપોર્ટ પ્રમાણે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ત્રણ ખેલાડીઓને છુટા કરવાની વાત કરી રહી છે, તેમાં પહેલા નંબરે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર નાથન કુલ્ટર નાઇલ છે, બીજા નંબર પર શેરફેન રુથરફોર્ડનુ નામ છે, જેને દિલ્હી કેપિટલ્સના મયંક માર્કન્ડે સાથે એક્સચેન્જ કરાયો હતો, આ લિસ્ટમાં ત્રીજા નંબર પર મિશેલ મેક્લાઘનનુ નામ છે. મેક્લાઘન મુંબઇનો સીનિયર ફાસ્ટ બૉલર છે.