ODI World Cup 2023, Rohit Sharma Reaction: ક્રિકેટની સૌથી મોટી મેગા ઈવેન્ટ એટલે કે ICC 2023 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.  ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. આ દરમિયાન 2023 ODI વર્લ્ડ કપના શેડ્યૂલ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માની પ્રતિક્રિયા સામે આવી છે. જાણો તેણે શું કહ્યું.


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, ઘર પર વર્લ્ડ કપ રમવો તે એક શાનદાર અનુભવ હશે. ભારત 12 વર્ષ પહેલા અહીં જીત્યું હતું અને હું જાણું છું કે દેશભરના ચાહકો આ વખતે અમારા મેદાનમાં ઉતરવાની રાહ જોઈ શકતા નથી.


હિટમેને આગળ કહ્યું, આ વર્લ્ડ કપ ખૂબ જ પ્રતિસ્પર્ધી થવાનો છે, કારણ કે રમત હવે બદલાઈ ગઈ છે. ટીમો પહેલા કરતાં વધુ સકારાત્મક ઉર્જા સાથે રમી રહી છે. આ બધું વિશ્વભરના ચાહકો માટે સારી વાત છે. અમે આ ઓક્ટોબર-નવેમ્બરમાં સારી તૈયારી કરવા અને અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ઉત્સુક છીએ. 


આગામી ICC ODI વર્લ્ડ કપમાં કુલ 48 મેચો રમાશે. આ દરમિયાન કુલ 6 દિવસીય મેચો રમાશે જ્યારે 42 દિવસ-રાત્રી મેચો યોજાશે. દિવસની મેચ ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યે શરૂ થશે. જ્યારે બપોરે 2 વાગ્યાથી ડે-નાઈટ મેચો રમાશે. આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન 6 દિવસે ડબલ મેચો પણ રમાશે. 


આ 10 શહેરોના સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપ 2023ની મેચોનું આયોજન કરવામાં આવશે



  1. અમદાવાદ - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

  2. બેંગલુરુ - એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ

  3. ચેન્નાઈ - એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ

  4. દિલ્હી - અરુણ જેટલી સ્ટેડિયમ

  5. ધર્મશાલા - હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ

  6. લખનૌ - એકાના ક્રિકેટ સ્ટેડિયમ

  7. હૈદરાબાદ - રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ

  8. પુણે - મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ

  9. કોલકાતા - ઈડન ગાર્ડન્સ

  10. મુંબઈ - વાનખેડે સ્ટેડિયમ     


સેમી ફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે


2023 ODI વર્લ્ડ કપમાં પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે મુંબઈમાં રમાશે. અને બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરે કોલકાતામાં રમાશે. આ પછી 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટાઈટલ મેચ રમાશે. જો સેમી ફાઈનલ કે ફાઈનલ મેચ પર વરસાદનું વિધ્ન રહેશે તો બીજા દિવસે મેચ યોજાશે.  ICCએ સેમિ-ફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડેનો નિયમ રાખ્યો છે.