ODI World Cup Schedule 2023, India vs Pakistan: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ થોડા સમય પહેલા ભારતમાં યોજાનાર આગામી ODI વર્લ્ડ કપના સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરી હતી. હવે 5મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આ મેગા ઈવેન્ટના કાર્યક્રમમાં કેટલાક ફેરફારોના સમાચાર આવી રહ્યા છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે 2-3 ક્રિકેટ બોર્ડે શિડ્યુલમાં ફેરફાર વિશે કહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.


ભારતીય ટીમ આગામી ODI વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર રમવાની છે. આ સિવાય 15 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચની તારીખમાં ફેરફારના સમાચાર સામે આવી રહ્યા છે. BCCI સેક્રેટરી જય શાહે શેડ્યૂલમાં ફેરફારને લઈને ANIને આપેલા નિવેદન અનુસાર, જો ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલવામાં આવે છે, તો એકથી વધુ મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે. 15 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ નવરાત્રિનો પહેલો દિવસ છે, આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ આ મેચની તારીખમાં ફેરફાર અંગે જણાવ્યું છે. ટૂંક સમયમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.


માત્ર તારીખ બદલાશે, સ્થળ નહીં


BCCI વતી જય શાહે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે જો ભારત-પાકિસ્તાન મેચનું શેડ્યૂલ બદલાશે તો તેની માત્ર તારીખ બદલાશે સ્થળ નહીં. અહેવાલો અનુસાર, આગામી 2 થી 3 દિવસમાં ICC દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.


આ દિવસથી ક્રિકેટના મેદાનમાં ફરી વાપસી કરશે જસપ્રીત બુમરાહ


  ભારતીય ટીમ પાસે ICC ODI વર્લ્ડ કપ 2023 માટેની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની વાપસી પર સૌની નજર ટકેલી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી ક્રિકેટથી દૂર રહેલા બુમરાહ અંગે BCCI સેક્રેટરી જય શાહે હવે બુમરાહની વાપસીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ANIને આપેલા નિવેદનમાં જય શાહે કહ્યું કે બુમરાહ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે આયર્લેન્ડ સામેની શ્રેણીમાં રમતો જોવા મળી શકે છે.


ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ખતમ થયા બાદ આયર્લેન્ડ સામે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. આ મેચ આયર્લેન્ડના ડબલિનમાં 18, 20 અને 23 ઓગસ્ટે રમાશે. આ અંગે આગામી સપ્તાહે ટીમની જાહેરાત થઈ શકે છે. આ સિરીઝ દ્વારા બુમરાહ મેદાનમાં પરત ફરે તેવી દરેકને આશા છે. સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે બુમરાહે તેના માટે સર્જરી કરાવવી પડી હતી. હવે તે લાંબા સમયથી એનસીએમાં પોતાનું રિહેબ કરી રહ્યો હતો. જ્યાં હવે તે પોતાની પૂરી ક્ષમતા સાથે બોલિંગ કરી રહ્યો છે. થોડા સમય પહેલા, બુમરાહે પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની ફિટનેસ વિશે એક મોટું અપડેટ આપ્યું હતું, જેમાં તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો.