Ranji Trophy: ભારતીય ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન રોહિત શર્મા લગભગ એક દાયકાના સમયગાળા પછી રણજી ટ્રોફીમાં પાછો ફર્યો છે. મુંબઈની ટીમ આજથી (ગુરુવારે) મુંબઈના બીકેસી ગ્રાઉન્ડ પર જમ્મુ અને કાશ્મીર સામે રમશે. આ દરમિયાન બધાની નજર રોહિત અને યશસ્વી જયસ્વાલ પર હતી. ઘરેલુ ક્રિકેટમાં હાથ અજમાવવા આવેલા ટીમ ઈન્ડિયાના વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો.
આજથી (23 જાન્યુઆરી) શરૂ થયેલી મુંબઈ અને જમ્મુ અને કાશ્મીર વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બંને ફ્લોપ રહ્યા હતા. યશસ્વી જયસ્વાલ 4 રન કરીને આકિબ નબીની બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. રોહિત શર્મા 3 રન કરીને ઉમર નઝીરની બોલિંગમાં પીકે ડોગરાના હાથે કેચ આઉટ થયો હતો. રોહિત શર્મા 9 વર્ષ અને 3મહિના પછી રણજી ટ્રોફીમાં રમવા ઉતર્યો હતો.
37 વર્ષીય રોહિત છેલ્લા કેટલાક મહિનાઓથી મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં, રોહિત 3 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં ફક્ત 31 રન બનાવી શક્યો હતો.
જમ્મુ અને કાશ્મીર સામેની આ મેચ રોહિત માટે આ સીઝનમાં એકમાત્ર મેચ હોઈ શકે છે. રોહિત 6 ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં અને ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું નેતૃત્વ કરશે.
રોહિત છેલ્લે 2015માં રણજી ક્રિકેટ રમ્યો હતો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા છેલ્લે 2015માં (7 થી 10 નવેમ્બર) રણજી ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. ત્યારે રોહિતે વાનખેડે સ્ટેડિયમમાં યુપી સામે 113 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રોહિતે અત્યાર સુધીમાં 128 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 9290 રન બનાવ્યા છે, અહીં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 309 રન છે. આ ઉપરાંત રોહિતે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 24 વિકેટ પણ લીધી છે.
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
