Rishabh Pant Health Update: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું 100 વર્ષે નિધન થયું હતું. તો બીજી બાજુ ભારતીય ટીમના વિકેટકિપર અને ઝંઝાવાતી બેટ્સમેન ઋષભ પંતનો ગંભીર અકસ્માત થયો છે. પીએમ મોદીએ તેમની માતાના શોકાતુર અને શોકાકુળ વાતાવરણ વચ્ચે પણ રાજધર્મ નિભાવતા ક્રિકેટર ઋષભ પંતને લઈને ટ્વિટ કર્યું છે અને તેના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. 


આજે શુક્રવારે વહેલી સવારે ભારતીય ક્રિકેટર ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. હાલ ઋષભ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઋષભ પંતની કાર અકસ્માત પર ટ્વિટ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે- ભારતીય ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતના સમાચારથી હું દુખી છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય.






પીએમ મોદીએ ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી


જોકે, ઋષભ પંત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. પીએમ મોદીના ટ્વીટ પર ટિપ્પણી કરીને ક્રિકેટ ચાહકો સતત ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઋષભ પંત શુક્રવારે સવારે 4.25 વાગ્યે અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માત બાદ ઋષભ પંતની કારમાં આગ લાગી હતી. ઋષભ પંતની મદદ કરનાર સ્થાનિક ડ્રાઈવર સુશીલ કુમારે જણાવ્યું હતું કે, જ્યારે કારનો અકસ્માત થયો ત્યારે તે મદદ માટે ત્યાં દોડ્યો હતો. જો કે તે સમયે તે પોતાનું વાહન રોડની બીજી બાજુ ચલાવી રહ્યો હતો. સુશીલ કુમાર હરિદ્વારથી હરિયાણા તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે તેણે જોયું કે કારનો અકસ્માત થયો હતો, અકસ્માત પછી કારમાં આગ લાગી હતી. જે બાદ તેણે ઋષભ પંતને કારમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.


BCCI સેક્રેટરી જય શાહે શું કહ્યું?


જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે આ મામલે કહ્યું હતું કે, ઋષભ પંતના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. 30 ડિસેમ્બરના રોજ સવારે 5.30 વાગ્યે દિલ્હીથી રૂરકી જતી વખતે પંતની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી હતી. આ અકસ્માત મોહમ્મદપુર જાટ પાસે થયો હતો. તે તેની માતાને મળવા રૂરકી જઈ રહ્યો હતો. હાલમાં જ ઋષભ પંત દુબઈથી ક્રિસમસ સેલિબ્રેટ કરીને પરત ફર્યો હતો. જો કે, પીએમ મોદી સિવાય ઘણી હસ્તીઓએ ઋષભ પંતના જલ્દી સ્વસ્થ્ય થવાની શુભેચ્છા પાઠવી છે.